Gujarat
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભાવનગરનાં પ્રજાવત્સલ રાજવી સ્વ શ્રી કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી સન્માનિત કરવા વડાપ્રધાનને રજૂઆત

દેવરાજ
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ભાવનગર દ્વારા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર પાઠવી સમગ્ર દેશ જ્યારે આઝાદીનો અમૃતકાળ ઉજવી રહ્યો છે ત્યારે આ અખંડ ભારતનાં નિર્માણમાં સૌ પ્રથમ પોતાનું રાજ્ય અર્પણ કરનાર એવા ભાવનગરનાં છેલ્લા પ્રજાવત્સલ રાજવી મહારાજા સ્વ શ્રી કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી તેમના આ યોગદાનને બિરદાવવા ભારત રત્નથી સન્માનિત કરવા રજૂઆત કરવામાં આવેલ છે વડાપ્રધાનને પાઠવવામાં આવેલ સદર પત્રમાં જણાવાયું છે
કે સરદાર વલ્લભભાઈ પટેલની રાજવીઓને અખંડ ભારતનાં નિર્માણ માટે કરવામાં આવેલી હાકલમાં સર્વપ્રથમ દેશને ચરણે પોતાનું રાજ્ય અર્પણ કરી આ હાકલને આખા ભારતમાં સર્વપ્રથમ પ્રતિસાદ આપનાર ભાવનગરનાં છેલ્લા પ્રજાવત્સલ રાજવી સ્વ શ્રી કૃષ્ણકુમારસિંહજી હતા આજે પણ ભાવનગર શહેરના તમામ પ્રજાજનો તેમને આદરપૂર્વક યાદ કરી પ્રાતઃ સ્મરણીય તરીકે યાદ કરે છે અને ગૌરવ અનુભવે છે ત્યારબાદ તેઓની રાષ્ટ્ર પ્રત્યેની તેમના સમર્પિત ભાવની નોંધ લઇ ભારત સરકાર દ્વારા તેમની મદ્રાસનાં ગવર્નર તરીકે નિમણુંક કરવામાં આવેલ
તેમાં પણ સ્વ શ્રી કૃષ્ણકુમારસિંહજીએ પોતાની નિ : સ્વાર્થતાનું દર્શન કરાવી ફક્ત એક રૂપિયો વેતન લઇ નિષ્ઠાપૂર્વક પદ સંભાળેલ ભાવનગર શહેરમાં મહારાજા સ્વ કૃષ્ણકુમારસિંહજીએ જાહેર સુખાકારીનાં હેતુસર સર તખ્તસિંહજી હોસ્પીટલ, આલ્ફ્રેડ હાઈસ્કૂલ, ગંગાદેરી, બોરતળાવ, ગામ તળાવ, આયુર્વેદ કોલેજ, તાપીબાઈ વિકાસ ગૃહ, તાપીબાઈ હોસ્પિટલ, ઉત્તર કૃષ્ણનગર, ભાવનગર શહેરની ગટર યોજનાની દેન તેમની દીર્ઘદ્રષ્ટીને આભારી છે.
આ ઉપરાંત ભાવનગર – તારાપુર બ્રોડગેજ રેલ્વે લાઈન માટે માતબર ફંડ ફાળવેલ આવા પ્રજાવત્સલ મહારાજાએ ભાવનગર શહેરના હૃદયસમા વિસ્તાર ઘોઘાગેટ થી ખારગેટ સુધીનો રોડ બનાવેલ જે આજે ૭૦ વર્ષ પછી પણ અતુટ છે ભાવનગરના જુના બંદરને વિકસાવવામાં તેમનો અમુલ્ય ફાળો હતો ભાવનગરનાં આવા પ્રજાવત્સલ અને રાષ્ટ્રસેવક રાજવીને ભારત – રત્નથી સન્માનિત કરી તેમના અભૂતપૂર્વ યોગદાનને બિરદાવવામાં આવે તેવી સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવેલ છે