Bhavnagar
ભાવનગર ગ્રામ્ય પંથક અને જિલ્લામાં બાયોડિઝલના ઓઠા નીચે LDO બળતણનું થતું ધુમ વેચાણ

કુવાડીયા
તંત્રના મોઢાને લાંચરૂપી તાળુ.? સરકારની કરની આવકને ફટકો, છતા ખુલ્લેઆમ ચાલતા ગોરખધંધા, શક્તિસિંહે કેન્દ્ર સરકાર સુધી રજુઆત કરી
ભાવનગર પંથકમાં ઠેર ઠેર બાયો ડીઝલના ઓઠા નીચે ભેળસેળ યુક્ત LDO બળતણના હાટડા ચાલી રહ્યા છે. બાયોડીઝલના નામે ચાલતા આ કાળા કારોબાર પાછળ દર મહિને મોટી રકમનો ભ્રષ્ટાચાર ચાલતો હોવાની પણ ચર્ચા છે.એક રાજકિય નેતાનો પુત્ર મુખ્ય સપ્લાયર હોવાથી અને તેણે નેટવર્ક ગોઠવ્યું હોવાથી તંત્રને જાણે લાંચરૂપી તાળા લાગી ગયા હોય તેમ કોઇ પગલા લેવાતા નથી. ભાવનગરમાં ઠેર ઠેર બાયોડિઝલના પોઈન્ટ શરૂ થઈ ગયા છે. વાહનોમાં ભેળસેળ યુક્ત બાયોડિઝલના ઉપયોગને કારણે પ્રદુષણનું પ્રમાણ વધી જાય છે આ પ્રકારના ઈંધણ સામે પ્રતિબંધ હોવા છતા આ કાળો કારોબાર ચાલી રહ્યો છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં આ રાજકિય નેતાના પુત્ર પાસેથી ભેળસેળ યુક્ત બાયોડિઝલનો માલ લેવાનો હોય છે.બાયોડિઝલના સતાવાર બોર્ડ હોય છે.
પણ બાયોડિઝલના બદલે ભેળસેળ યુક્ત ઈંધણ પુરી દેવામાં આવે છે. ભેળસેળીયા ઈંધણના ગેરકાયદે વિતરણને કારણે સરકારને વેટ, એક્સાઈઝ ડ્યુટી સહિતની કરની આવકમાં ભારે મોટી ખોટ જાય છે અને પ્રદુષણમાં પણ વધારો થાય છે.ભાવનગર જિલ્લા પેટ્રોલ ડીઝલ ડીલર્સ એસો દ્વારા પણ બાયોડિઝલના નામે LDOના થતા વેચાણને અટકાવવા માંગણી થયેલ છે.
સીબીઆઈ તપાસની શક્તિસિંહની માંગ
ભાવનગર પેટ્રોલ ડિઝલ ડીલર્સ એસો.ની રજુઆત બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રુમખ અને રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારામન, પેટ્રોલીયમ મંત્રી રમેશજી અને હરદીપસિંઘ પુરીને આ પ્રશ્ને રજુઆત કરી છે અને તાકીદે કડક પગલા ભરવાની માંગણી કરેલ છે. તેમણે જણાવ્યુ છે કે ગુજરાત સરકારે કેટલાક કેસો પકડેલ છે પણ નીચેના સ્તરે ભ્રષ્ટાચારને કારણે તેની કોઈ ખાસ અસર થઈ નથી. કેન્દ્ર સરકારની આવકને નુકશાન થઈ રહ્યુ છે તે સંજોગોમાં સીબીઆઈના ખાસ અધિકારી દ્વારા તેની તપાસ થાય તે જરૂરી છે.