Gujarat
રેડ એલર્ટ જાહેર ; સૌરાષ્ટ્ર કચ્છના બંદરો પર અતિ ભયસૂચક 10 નંબરના સિગ્નલ

બરફવાળા
‘બિપોરજોય’ અત્યંત ખતરનાક બને તેવી ચેતવણી: સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી: પુરનો પણ ભય
સૌરાષ્ટ્ર ભણી ધસમસી રહેલા વાવાઝોડા ‘બિપોરજોય’ અત્યંત શક્તિશાળી બનીને આગળ વધી રહ્યું છે અને બુધવારથી આગામી પાંચ દિવસ કચ્છ, દ્વારીકા, જામનગર, પોરબંદર તથા મોરબી જીલ્લા માટે ખૂબજ આફતજનક પુરવાર થવાની શકયતા વચ્ચે કચ્છના તમામ બંદરો ઉપરાંત પોરબંદર, નવલખી, ઓખા બંદરો પર અતિ ભયસૂચક દર્શાવતા 10 નંબરના સિગ્નલ દર્શાવાયા છે તથા આયાત-નિકાસ માટે ધમધમતા કંડલા-મુદ્રા સહિતના બંદરો પર હાલ કામકાજ થંભાવી દેવાની તૈયારી છે. ‘બિપોરજોય’નો મુકાબલો કરવા તંત્રને અભૂતપૂર્વ તૈયારી કરી છે તે વચ્ચે માંડવી, કંડલા, નલીયા, પોરબંદર, ઓખા, નવલખી સહિતના બંદરો પર વાવાઝોડાની અત્યંત ગંભીર અને અલ્ટીમેટ ચેતવણી આપતા સિગ્નલ નં. 10 ચડાવી અને મહતમ એલર્ટ જાહેર કરાયું છે.
આવતીકાલથી જ કિનારાના ક્ષેત્રો સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે તોફાની બચત સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ‘બિપોરજોય’ જેમ જેમ આગળ વધતું જાય છે તેમ તેમ દરિયો તોફાની બનવા લાગ્યા છે અને ‘બિપોરજોય’ કચ્છના લખપત પાસે કોઈપણ સ્થળે લેન્ડફોલ કરશે. કચ્છમાં મહતમ સાવધાની છે અને કોટેશ્ર્વર, નારાયણ સરોવર મંદિર બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોને ગંભીર સ્થિતિમાં કોઈપણ સમયે સ્થળાંતર માટે તૈયાર રહેવા જણાવાયું છે. બીજી તરફ ભારતીય હવામાન વિભાગના ડિરેકટર જનરલ મહાપાત્રાએ સૌરાષ્ટ્ર માટે વાવાઝોડાનું રેડ-એલર્ટ જાહેર કર્યુ છે તથા સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તથા અનેક સ્થળોએ પુરની પણ શકયતા છે.