Bhavnagar
‘જે વ્યક્તિ ડમીકાંડ ખુલ્લા પાડવાનો દાવો કરતો તે આજે જેલમાં બંધ’, યુવરાજસિંહ પર પાટીલનું નિવેદન

કુવાડિયા
નિર્દોષ અને દોષી વ્યક્તિઓ પાસેથી પૈસા લઇ કરોડો રૂપિયા બનાવ્યા, વધુ તપાસ કરતા મને લાગે છે અન્ય લોકોના નામ પણ બહાર આવી શકે : સી.આર પાટીલ
રાજ્યભરમાં ભાવનગર ડમીકાંડના મુદાએ ખુબ જોર પકડ્યું છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. હવે આ મામલા પર ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જે વ્યક્તિ પેપરકાંડ અને ડમીકાંડ ઉઘાડવાનું કહેતો હતો તે આજે પાંજરે પુરાયો છે. ડમીકાંડના કૌભાંડ ખુલ્લા પાડવાનો દાવો કરતો વ્યક્તિ આજે જેલ પાછળ છે આ ઉપરાંત પણ ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, જે વ્યક્તિ આવા કાંડ ખુલ્લા પાડવાનો દાવો કરતો હતો તે આરોપી આજે જેલમાં છે. એ વાત સ્વાભાવિક છે કે જો કોઈ કાંડ થતા હોત તો તેની માહિતી પોલીસ અથવા પત્રકારોને મળતી હોય છે.
પરંતુ રાજ્યમાં કોઈના કોઈ જગ્યાએ પેપરકાંડ કે ડમીકાંડ થાય તો તેની સૌ પ્રથમ માહિતી તે વ્યક્તિને મળતી હતી. તો પોલીસની પાસે પણ જે માહિતીના સ્ત્રોત આવતા હોય છે તે ગુનેગારો પાસેથી જ આવતા હોય છે, જે આરોપી પકડાયો છે તે પણ કોઈ ગુના સાથે સંડોવાયેલ હશે, જેના કારણે આવું થાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે આખા દેશે જોયું છે કે જે વ્યક્તિ પોતે આવા કૌભાંડો ઉજાગર કરવાની વાતો કરતો હતો તે પોતે જેલ ભેગો થયો છે અને કરોડો રૂપિયા બનાવી લીધા છે. નિર્દોષ લોકોને પણ દબાવ્યા છે અને કેટલાક દોષિતો પાસેથી પણ ખૂબ મોટી રકમ પડાવી છે. જેના વીડિયો અને પુરવા પોલીસે કબજે કર્યા છે. આ બાબતે વધુ તપાસ કરતા મને લાગે છે અન્ય લોકોના નામ પણ બહાર આવી શકે છે.