Ahmedabad
પાલીતાણાની ઘટનાના પડઘા રાજ્યભરમાં : અમદાવાદમાં જૈન સમાજની નીકળી વિશાળ રેલી
![palitana-incident-reverberates-across-the-state-jain-samaj-held-a-huge-rally-in-ahmedabad](https://shankhnadnews.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-01-at-6.27.13-PM.jpeg)
કુવાડિયા
ગિરિરાજ પર દાદા ચાલશે, દાદાગીરી નહીં : જૈન્નાચાર્ય મહાબોધીસુરીજી આ રેલી જૈન સમાજનું ડિફેન્સ બજેટ, આક્રોશ આક્રમણમાં બદલાશે – જૈન્નાચાર્ય રત્નસુંદરજી ; જૈન મુનિનો હુંકાર- સરકાર 3 દિવસમાં આગળ આવે અને ચોક્કસ પરિણામ આપે
અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ છે. પાલડી ચાર રસ્તાથી રેલી શરૂ થઈ હતી. સમાજના હજારો લોકો રેલીમાં બેનર સાથે જોડાયા હતા. જૈન સમાજના સંતો પણ રેલીમાં જોડાયા છે. ભીષ્મ તપસ્વી પણ રેલીમાં જોડાયા છે. પાલડી ચાર રસ્તાથી ઇન્કમટેક્ષથી વાડજ થઈ RTO ખાતે રેલી પહોંચી હતી. રેલી દરમિયાન લોકો સૂત્રોચ્ચાર કર્યા હતા. 3 કિમી કરતાં લાંબી રેલી યોજાઈ હતી. જેમાં 15 હજાર કરતાં વધુ લોકો જોડાયા હતા. રેલી આશ્રમ રોડ પહોંચી ત્યારે રેલીના કારણે એક તરફનો 3 કિમી સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. કલેક્ટર ઓફિસ પાસે બનાવેલા સ્ટેજ પર જૈન મુનિઓ બિરાજમાન થયા હતા, જ્યારે હજારો લોકોની ભીડ રસ્તા પર નારા લગાવી રહી હતી. જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી રેલી દેખાઈ રહી હતી. મંચ પરથી મુનિઓની પોતાની માગ રાખી હતી.ત્યારબાદ આવેદન આપ્યું હતું. જૈન્નાચાર્ય જયરત્નસુરીજીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગિરિરાજનો એક એક કણ અમારા માટે પથ્થર નથી ભગવાન છે. જૈન સમાજ પહેલી વાર માગ લઈને આવ્યો છે.
ન્યાય નહીં મળે તો આ રેલી નહીં આટલા લોકોનું બલિદાન હશે. જૈન સમાજના જૈન્નાચાર્ય રત્નસુંદરજીએ જણાવ્યું હતું કે, અત્યારે જે માહોલ બન્યો તે જૈન સમાજનું ડિફેન્સ બજેટ છે. અમે ભાગવાના મૂડમાં નથી. કોઈના ઘરમાં રેડ પાડીએ તે આપણા લોહીમાં નથી, પણ કોઈ આપણા ઘરમાં રેડ પાડી જાય તો? આ રેલી દ્વારા મેસેજ પહોંચાડી દેજો કે, આક્રોશ આક્રમણમાં બદલાશે. આક્રોશમાં 5 માણસમાં છમકલું થઈ જાય, હજારોની સંખ્યામાં આજે છો છતાં શાંતિ છે. શક્તિ વાપરવા નહીં દેખાડવા માટે હોય છે. અમારી શક્તિ વાપરવી પડે તેવા દિવસો લાવતા જ નહીં. આ જોઈને તમે ડરી જાવ નહીં તો વી આર રેડી. જ્યાં સુધી શક્તિ દેખાડતા નથી, ત્યાં સુધી સમાધાન પણ થતું નથી. જૈન્નાચાર્યમહાબોધીસુરીએ મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, આ રેલી શત્રુંજય ઘેરી શકે છે. આ રેલી સરકાર વિરોધી નહીં સરકારને વિનંતી માટેની રેલી છે. ગિરિરાજ પર દાદા ચાલશે, દાદાગીરી નહીં. આજે એક નારો યાદ રાખજો કે ગિરિ પર દાદા ચાલશે પણ દાદાગીરી નહીં ચાલે. 3 દિવસનો સમય આપવામાં આવશે. 3 દિવસમાં સરકાર આગળ આવશે અને ચોક્કસ પરિણામ આપશે. સરકાર સંસ્કૃતિ પ્રેમી છે, આપણો અવાજ શિસ્ત સાથે પહોંચાડવામાં આવશે તો તેમને સાંભળવો જ પડશે