Bhavnagar
મકરસંક્રાંતિના મહાપર્વે દાન-પુણ્ય માટે ચોમેર સેવાયજ્ઞા ધમધમશે

પવાર
ચોતરફ જીવદયા પ્રવૃતિઓ વેગવંતી બનશે, કાપડની દુકાનોમાં પીતાંબરી ધોતીયુ,શાલ, ગમચા, રાશીવાઈઝ રંગના કપડા,રામનામ લખેલી શાલનું ધૂમ વેચાણ
દાન અને પુણ્ય માટે તમામ ધર્મશાસ્ત્રોમાં સર્વોત્તમ અને મહિમાવંતા ગણાતા મકરસંક્રાતિના મહાપર્વ દરમિયાન ગોહિલવાડમાં અત્ર, તત્ર અને સર્વત્ર જીવદયાપ્રવૃતિઓનો ભારે ધમધમાટ જોવા મળશે. શ્રધ્ધાળુઓ દ્વારા ચોતરફ ભારે ઉત્સાહભેર સેવાકીય અને જીવદયા પ્રવૃતિઓ હાથ ધરાશે. અબોલ પક્ષીઓ માટે દાણા, પાણીની વિશેષ વ્યવસ્થા કરાશે. આ સાથે ભૂદેવો, સંતો, મહંતોને વસ્ત્ર અને અનાજના દાનનો અનન્ય મહિમા વર્ણવાયો છે.
જયોતિષ શાસ્ત્ર મુજબ સૂર્યને વિસ્તરવાની દિશા બે આયન છ ઋુતુ અને બાર માસ હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન સૂર્ય એક રાશિમાં લગભગ એક માસ રહીને બારેય રાશિમાં પરિભ્રમણ કરે છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તેને સંક્રાતિ કહે છે. હાલમાં સૂર્ય ધન રાશિમાં છે જેથી તે ધનારક કહેવાય છે.આગામી તા.૧૪ જાન્યુઆરીને શનિવારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરશે. ઉત્તરાયણના સમયગાળાને શાસ્ત્રોમાં શુભ સમય ગણવામાં આવ્યો છે.
એટલે તો મહાભારતની કથા મુજબ ભીષ્મ પિતામહનું મૃત્યુ દક્ષિણાયનમાં થયુ હતુ. પણ તે સમયગાળો શુભ ન હોવાથી અને ઈચ્છામૃત્યુનુ ભીષ્મને વરદાન હોવાથી તેઓએ કષ્ટદાયક એવી બાણની શૈયા પર રહીને ઉત્તરાયણ સુધી મૃત્યુને રોકી રાખ્યુ હતુ. મકરસંક્રાંતિના દિવસે સૂર્યની સંક્રાંતિ થાય તે સમયથી લગભગ ૧૦ કલાક સુધીનો સમયગાળો દાન, પુણ્ય અને જીવદયા પ્રવૃતિઓ માટે સર્વોત્તમ ગણાય છે.
શનિવારે ભાવનગર શહેર અને જિલ્લામાં શ્રધ્ધાળુઓ દ્વારા પવિત્ર નદી, જળાશયમાં સ્નાન, પુજા, પાઠ તથા ગરીબોને અને બ્રાહ્મણોને તલ, ગોળ, અનાજ, ગરમ વસ્ત્રોના દાન કરાશે. આ સાથે ભૂદેવો, સંતો, મહંતોને દાનમાં આપવા માટે પીતાંબરી ધોતીયુ, શાલ, ગમચા, રાશીવાઈઝ રંગના કાપડ, રામનામ લખેલી શાલ,મુગટો તેમજ પેન્ટ શર્ટનું કાપડનું ધૂમ વેચાણ થઈ રહેલ છે.
તેમજ ગાય વગેરે અબોલ પશુ,પક્ષીઓને દાણા, પાણી, ચણ, ઘાસચારો નાખીને તેઓની દુઆ મેળવીને પુણ્યનુ ભાથુ બાંધશે. આ સાથે શ્રધ્ધાળુઓ ઉત્તરાયણના અવસરે વહેલી સવારે ઐતિહાસિક અને પ્રાચીન ધર્મસ્થાનકો પાસેના નદી, જળાશયમાં સ્નાન કરવા ઉમટી પડશે.