Gujarat
મોરબી ઝુલતો પુલ દુર્ઘટના : મૃતકોના પરિવારજનોને ૧૦-૧૦, ઇજાગ્રસ્તોને ૨-૨ લાખ રૂપિયાનું વળતર ચુકવવા હાઇકોર્ટનો આદેશ

કાર્યાલય
- ઓરેવા કંપનીએ ચુકવવું પડશે વળતર : હાઇકોર્ટનો વચગાળાનો આદેશ : ઓરેવા કંપનીની ‘ઓફર’ કોર્ટે ફગાવી : હાઇકોર્ટ પહોંચેલા પરિવારોની આંખો ભરાઇ આવી : ન્યાય માંગવા આવ્યાની રજુઆત : ન્યાય જોઇએ છે
ગુજરાતના મોરબી પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિજનો અને ઇજાગ્રસ્તોને વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે પુલ રીપેરીંગ કરતી ઓરેવા કંપનીને આદેશ આપ્યો છે કે મૃતકોના પરિવારોને ૧૦-૧૦ લાખ અને ઇજાગ્રસ્તોને ૨-૨ રૂપિયાનું વળતર આપવામાં આવે બને પક્ષોની દલીલો સાંભળીને હાઇકોર્ટે આ આદેશ આપ્યો છે.જયસુખ પટેલના વકીલ દ્વારા શરૂઆતમાં ૩ લાખ અને પછી ૫ લાખનું વળતર ચૂકવવાની તૈયારી બતાવી હતી પરંતુ હાઈકોર્ટે આ અંગે વચગાળાનો આદેશ આપ્યો છે તેમાં ૧૦ લાખ રૂપિયા મૃતકના પરિવારને ચૂકવવા માટે ઓરેવા કંપનીને આદેશ કર્યો છે. આ કેસમાં મૃતકોના પરિવારજનો સવારથી ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા અને તેમણે કોર્ટ આ કેસમાં મોટો નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી હતી. વચગાળાનો આદેશ કરવામાં આવ્યો છે તેને જોતા આગામી સમયમાં વળતર અને જે બાળકોએ માતા-પિતાની છત્રાછાયા ગુમાવી છે તેમને લઈને મહત્વનો નિર્ણય લઈને ચૂકાદો આપી શકે છે.
આ કેસમાં પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારજનો સિવાય અન્ય અરજદારો દ્વારા પણ વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા હાલ વચગાળાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા મૃતક પરિવારો કોણ છે, માતા-પિતા ગુમાવ્યા હોય તેવા કેસ કેટલા છે અને પરિવારે એકથી વધુ સભ્યો ગુમાવ્યા હોય તે સહિતની વિગતો મંગાવવામાં આવી હતી. જેના આધારે વચગાળાનો આદેશ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આ કેસમાં હજુ મહત્વનો ચુકાદો આપવામાં આવશે તેવી શક્યતાઓ કેસની ગંભીરતાને જોતા માનવામાં આવી રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટે અગાઉ અસરગ્રસ્તોને ચૂકવાતા વળતર અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ઓરેવા ગ્રુપે મૃતકના પરિવારજનોને ૩.૫ લાખનું વળતર ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. જયારે ઈજાગ્રસ્તોને એડહોક ૧ લાખનું વળતર ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. હાઈકોર્ટે વળતરની આ રકમને અયોગ્ય ગણી હતી. કોર્ટ મિત્રએ પણ કોર્ટમાં કહ્યું હતું કે, અસરગ્રસ્તોને વધુ વળતર મળવું જોઈએ. હાઈકોર્ટે વળતો સવાલ કરતા પૂછ્યું હતું કે તમને વળતરની રકમ યોગ્ય લાગે છે? સમગ્ર મુદ્દે હાઈકોર્ટે વચગાળાનો હુકમ કર્યો છે. હાઈકોર્ટે મૃતકોના પરિવારને ૧૦ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. જયારે ઈજાગ્રસ્તોને ૨ લાખનું વળતર ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે..