Sihor
બોર્ડ પરીક્ષાને ઉત્સવ બનાવી દો ; ચિંતામુક્ત પરીક્ષા આપો – રાજેશભાઇ સાંગા

મિલન કુવાડિયા
સિહોર નજીક નેસડા ખાતે રાજહંસ વિદ્યા સંકુલ ખાતે ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓને તજજ્ઞોએ માર્ગદર્શન પુરું પાડ્યું ; રાજહંસ વિદ્યા સંકુલ ખાતે બોર્ડ પરીક્ષા માર્ગદર્શન, રસીદ વિતરણ, અને વિધાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
તા.૧૪માર્ચથી ધો.૧૦ અને ધો.૧૨ની શરૂ થનારી બોર્ડ પરીક્ષા પૂર્વે જ વિદ્યાર્થીઓ અને તેમનાં વાલીઓના મનમાં પરીક્ષાને લગતા ઉદ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ અને નિદાન આપવા માટે સિહોર નજીક નેસડા ખાતે રાજહંસ વિદ્યા સંકુલ ખાતે તજ્જ્ઞોએ વિદ્યાર્થીઓને પરીક્ષાનો હાઉ મનમાંથી કાઢી નાખી પરીક્ષાને પણ એક ઉત્સવ બનાવી દેવા સૂચન કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહયા હતા.
સિહોર નજીક નેસડા ખાતે રાજહંસ વિદ્યા સંકુલ ખાતે પરીક્ષા માર્ગદર્શન, રસીદ વિતરણ, અને વિધાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો જેમા મનહરભાઈ રાઠોડ, તરુણભાઈ વ્યાસ, રવિન્દ્રસિંહ સરવૈયા, સંચાલક રાજેશભાઈ સાંગાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, તકે ઉપસ્થિત મનહરભાઈ રાઠોડે વિદ્યાર્થી-વાલીઓને જણાવ્યું હતું કે, રાજહંસ સ્કૂલ દ્વારા ધો.૧૦-૧૨નાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવા જે આયોજન થયું છે તે સરાહનીય છે.
વિદ્યાર્થીઓ એક વાત સમજી લે કે, પરીક્ષા આખરી મંજિલ નથી. વ્યક્તિની જીવનયાત્રાનો એક ભાગ છે. ઉપસ્થિત રાજેશભાઈ સાંગાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પરીક્ષાને ઉત્સવ તરીકે લેશો તો ડર નીકળી જશે.
પરીક્ષાના સમયે નેગેટિવ વિચારોને મન પર કબજો જમાવવા દેશો નહીં. યાદ રહેતું નથી, વિષય અઘરો છે, બીમાર થઇ જવાશે વગેરેને મગજરૂપી કમ્પ્યૂટરમાંથી ડિલીટ કરી નાખો. તરુણભાઈ વ્યાસે જણાવ્યું હતું કે વાલીઓ પોતાની અધૂરી ઇચ્છા સંતાનો પર ન ઠોકી બેસાડે ધો.૧૦-૧૨નાં વિદ્યાર્થીઓને પરીક્ષાને લગતો ડર ખોટો છે.
જો વિદ્યાર્થી ડર કાઢીને પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરે તો સારા માર્ક્સ મેળવી શકશે. વિદ્યાર્થીઓ કરતાં માતા-પિતાને સામાજિક આબરૂની ચિંતા વધારે સતાવતી હોય છે.
મોટા ભાગનાં માતા-પિતા પોતાની અધૂરી ઇચ્છા સંતાનો પર લાદી દે છે. જે તદ્દન ખોટું છે. રવીન્દ્રસિંહ સરવૈયએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે બાળકોને પોતાનાં રુચિ અને રસ પ્રમાણેના પ્રવાહમાં જવાની આઝાદી માતા-પિતાએ આપવી જોઇએ. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર ઊભો થવા માટે વાલી પણ જવાબદાર છે
વિદ્યાર્થીઓ એક વાત સારી રીતે સમજી લે કે બોર્ડ પરીક્ષા આખરી મુકામ નથી. આજના વિદ્યાર્થીઓ જોશથી ભરપૂર છે. માત્ર તેમને જરૂર છે યોગ્ય માર્ગદર્શનની. વાલીઓની અપેક્ષાનો બોજ સંતાન પર આવતાં ફૂલ ખીલવાને બદલે મૂરઝાઇ જાય છે. બાળકોને છુટાં મૂકી દો. પરીક્ષા પૂર્ણ વિરામ નથી, અલ્પવિરામ છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી