Gujarat
મિત્રતા નિભાવવી ભારે પડી : AAP નેતા વશરામ સાગઠીયા કોંગ્રેસના કાર્યક્રમમાં દેખાતા પાર્ટીમાંથી કાઢી મુકાયા
કુવાડિયા
એક રાજકીય નેતાને મિત્રતા નિભાવવી ભારે પડી હોય તેવી ઘટના સામે આવી છે. તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની જાહેરાત થતાં અમદાવાદમાં કોંગ્રેસની પદયાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં AAP ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ વશરામ સાગડીયા પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના કાર્યક્રમમાં આપના નેતા નજરે પડતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. જોકે આ ઘટનાના બે દિવસ બાદ આમ આદમી પાર્ટીએ આ નેતા પર કાર્યવાહી કરીને પાર્ટીમાંથી કાઢી મુક્યા છે. ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર પાસેથી કમાન આંચકીને નવા પ્રદેશ પ્રમુખ તરીકે સાંસદ શક્તિસિંહ ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અમદાવાદમાં ગાંધી આશ્રમથી પાલડી સુધી પદ યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ વશરામ સાગડીયા પણ હાજર રહ્યા હતા. વશરામ સાગઠીયાએ કોંગ્રેસના કાર્યક્રમમાં મિત્રતાની રૂએ આવ્યા હોવાની અને આમ આદમી પાર્ટીમાં જ જોડાયેલા હોવાની પણ સ્પષ્ટતા પણ મીડિયાને આપી હતી. સાથે જ ભવિષ્યમાં તેમણે કોંગ્રેસમાં જશે કે નહીં તે અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો. આ કાર્યક્રમના બે દિવસ બાદ આમ આદમી પાર્ટીએ વશરામ સાગઠીયાને પાર્ટીમાંથી કાઢી મુક્યા છે. આપના એક પત્રમાં જણાવામાં આવ્યું છે કે, વશરામ સાગઠીયા વિરુદ્ધ કેટલાક કાર્યકર્તાઓ દ્વારા સતત ફરિયાદ મળતી રહી છે કે તેઓ પાર્ટીના પદનો દુર ઊપયોગ કરીને પાર્ટી વિરુદ્ધનું કામ કરી રહ્યા છે, પાર્ટી દ્વારા આ વાતની તપાસ કરવામાં આવતા કાર્યકર્તાઓની ફરિયાદ સાચી જણાઈ આવતા વશરામ સાગઠીયાને શિસ્ત ભંગના પગલાના ભાગ રૂપે પાર્ટીના તમામ પદો પરથી સેવા નિવૃત કરવામાં આવે છે સાથે જ સભ્યપદ પણ રદ કરવામાં આવે છે.