Business
Edible Oil Price : તહેવારોની સિઝનમાં ખાદ્યતેલ પર સરકારનો મોટો નિર્ણય, ગ્રાહકોને છ મહિનાની રાહત

સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે લોકોને રાહત આપવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી તહેવારોની સિઝનમાં લોકોને ફાયદો થશે. વાસ્તવમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ કિંમતોને નિયંત્રિત કરવા માટે ખાદ્ય તેલની આયાત પર કસ્ટમ ડ્યુટીની મુક્તિ સાથે ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે તહેવારોની સિઝનમાં દેશમાં ખાદ્ય તેલનો વપરાશ વધી જાય છે. આવી સ્થિતિમાં, જો આ સમયગાળા દરમિયાન તેલની કિંમતો વધે છે, તો તે ગ્રાહકો માટે આંચકા સમાન હશે. જો કે હવે સરકારના તાજેતરના નિર્ણય બાદ ગ્રાહકોને રાહત મળવાની આશા છે. સરકાર દ્વારા રવિવારે કહેવામાં આવ્યું છે કે ખાદ્ય તેલની આયાત પર કસ્ટમ ડ્યૂટીમાં છૂટ આગામી છ મહિના માટે એટલે કે વર્ષ 2023ના માર્ચ સુધી જારી કરવામાં આવશે.
ભારત પામ તેલનો સૌથી મોટો આયાતકાર છે
આપણા દેશમાં બે તૃતીયાંશ રસોઈ તેલની આયાત થાય છે. રશિયા-યુક્રેન કટોકટી અને ઈન્ડોનેશિયા દ્વારા પામ ઓઈલની નિકાસ પર પ્રતિબંધ મુકાયા બાદ છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં ખાદ્યતેલોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જોકે, થોડા મહિનાઓ પહેલા ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. ભારત ઇન્ડોનેશિયા પાસેથી વાર્ષિક આશરે 80 લાખ તુમ પામ તેલ ખરીદે છે. દેશમાં હાલમાં પામ તેલ, સોયાબીન તેલ અને સૂર્યમુખી તેલની ક્રૂડ જાતો પર શૂન્ય આયાત શુલ્ક લાગે છે. જો કે, તેમની પાસેથી પાંચ ટકા કૃષિ અને 10 ટકા સામાજિક કલ્યાણ સેસ વસૂલવામાં આવે છે. ખાદ્યતેલોના ભાવ નિયંત્રણમાં રાખવા માટે સરકારે પામતેલની આયાત પરની ડ્યુટીમાં ઘણી વખત ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.