Bhavnagar
ભાવનગરથી ચોટીલા પદયાત્રા સંઘ રવાના ; યુવરાજે પ્રસ્થાન કરાવ્યું

Dhaval Bhai
- ચામુંડા મિત્ર મંડળ દ્વારા 40 વર્ષથી યોજાતી પદયાત્રા, ભાવનગરના યુવરાજે 52 ગજની ધજાનું પૂજન કરી પ્રસ્થાન કરાવી, પાંચ દિવસે ચોટીલા પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવશે
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના ભરતનગર, કાચના મંદિર પાસેના ચામુંડા મિત્ર મંડળ આયોજીત ભાવનગરથી ચોટીલા જવા માટે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલના હસ્તે 52 ગજાની ધજાનું પૂજન-અર્ચન કરી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
શહેરના ભરતનગર કાચના મંદિર પાસેના ચામુંડા મિત્ર મંડળ છેલ્લા 40 વર્ષથી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર વર્ષે ભાવિક ભક્તો ભાવનગરથી ચોટીલા સુધીનો પદયાત્રા સંઘ યોજવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં.
આ સંઘ ચોટીલા પહોંચી બાવન ગજની ધજા ચડાવી ચામુંડા માતાજીના દર્શન કરશે. ચામુંડા મિત્ર મંડળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ભાવનગરથી ચોટીલા પદયાત્રા પાંચ દિવસે પહોંચશે, જેમાં તેઓ ભાવનગરથી વલ્લભીપુર, પચ્છેગામ, કંથારીયા, રાજપરા, મોટા રતનપર, શિયાનગર થઈ બીજા દિવસે ઝીંઝાવદર પહોંચી રાત વિસામો કરશે, ત્યાંથી સવારે રવાના થઈ સરવઈ, તાજપર, બોટાદ, પાળીયાદ પહોંચી ત્રીજા દિવસે રાત્રી વિસામો કરશે, ત્યાં થી રવાના થઈ રતનપર, ગઢળીયા, નડાળા, લિંબાળા, ધજાળા, ધાંધલપર ચોથા દિવસે પહોંચી રાત વિસામો કરશે, ત્યાં સવારે રવાના થઈ રાતકડી મોરસલ, નાનુ પાળીયાદ થઈ પાંચમાં દિવસે ચોટીલા પહોંચશે, અને પહોંચી ચામુંડા મિત્ર મંડળ દ્વારા બાવન ગજની ધજા ચડાવવામાં આવશે. ચોટીલા પદયાત્રામાં ભાઈઓ-બહેનો જોડાયા હતા અને પાંચ દિવસે ચોટીલા પહોંચી માતાજીનાના દર્શન કરી પરત ફરશે તેમ ચોટીલા મિત્ર મંડળ દ્વારા જણાવ્યું હતું.