Gujarat
કેદારનાથ દર્શને જતા અમદાવાદના ચાર યુવકોના મોત : ભૂસ્ખલનથી પથ્થરો વરસતા કાર દબાઈ

કુવાડીયા
કુશલ સુથાર, જીગર મોદી, મહેશ દેસાઈ તથા દિવ્યેશ પારેખ પાંચ દિવસ પુર્વે જ કારમાં ચારધામ યાત્રાએ નિકળ્યા હતા
ઉતરાખંડના વરસાદી કહેર વચ્ચે દુર્ઘટનાનો સિલસિલો યથાવત હોય તેમ ભૂસ્ખલનથી કાર પથ્થર નીચે દબાઈ જતા ગુજરાતના ચાર સહિત પાંચ યાત્રાળુઓના મોત નિપજયા હતા. મોતને ભેટેલા ચારેય ગુજરાતી યુવકો અમદાવાદના હોવાનું બહાર આવ્યુ છે. ઉતરાખંડમાં રૂદ્રપ્રયાગ જીલ્લામાં પાંચ યાત્રાળુઓ મોટરમાર્ગે જઈ રહ્યા હતા ત્યારે ભારે વરસાદ વચ્ચે હાઈવે પર ભૂસ્ખલન સર્જાયુ હતું અને તેના તોતીંગ પથ્થરો વરસતા કાર કાટમાળ હેઠળ દબાઈ ગઈ હતી. કારમાં સવાર પાંચ લોકોના મોત નિપજયા હતા તેમાંથી ચાર ગુજરાતના હોવાનું બહાર આવ્યુ હતું. ગુરૂવારે રાત્રે સર્જાયેલી દુર્ઘટનાની જાણ થતા બચાવ-રાહત કામગીરી માટે એસડીઆરએફની ટીમને દોડાવવામાં આવી હતી. ભૂસ્ખલનને કારણે હાઈવે પર પરિવહન બંધ કરી દેવામાં આવ્યું હતું. કેદારનાથ યાત્રાએ જઈ રહ્યા હતા ત્યારે અધવચ્ચે જ આ દુર્ઘટના થઈ હતી. એવુ બહાર આવ્યુ છે કે મૃતક ચારેય યુવકો અમદાવાદના છે અને એક સાથે જ ચારધામ યાત્રા માટે ગયા હતા. કુલ ચાર યુવાનો ગયા હતા. ચારેય મોતને ભેટયા હતા.
અમદાવાદના ઘોડાસર, ભાડવાતનગર, સ્મૃતિ મંદિર તથા મહેમદાબાદમાં રહેતા આ ચારેય યુવાનો હોવાનું જાણવા મળ્યું છે. મોતને ભેટેલા યુવકો પૈકી જીગર મોદી ભાડવાતનગરમાં તથા મહેશ દેસાઈ સ્મૃતિમંદિર પાસે રહેતો હોવાનું બહાર આવ્યુ છે. આ સિવાય ઘોડાસર ન્યુ આરતી સોસાયટીમાં રહેતો કુશલ સુથાર તથા મહેમદાબાદનો દિવ્યેશ પારેખ પણ સાથે હતા. આ ચારેય યુવકો પાંચ દિવસ પુર્વે કારમાં ચારધામ યાત્રાએ જવા નીકળ્યા હતા. સૌપ્રથમ હરિદ્વાર ગયા હતા અને ત્યાંથી ચારધામ યાત્રાએ જવા રવાના થયા હતા. આ દરમિયાન ગુરૂવારે રાત્રે કેદારનાથ યાત્રાએ જતી વેળાએ દુર્ઘટના થઈ હતી. આ બનાવની જાણ થતા અમદાવાદના મણીનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ સહિતના રાજકીય આગેવાનોમાં ઘોડાસરમાં રહેતા સુથારના નિવાસે દોડી ગયા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
મૃતદેહોને વિમાન માર્ગે લાવવા રાજય સરકારની મદદ
કેદારનાથ યાત્રા દરમ્યાન ભૂસ્ખલન દુર્ઘટનામાં અમદાવાદના ચાર યુવકોના મોત નિપજતા શોકનું મોજુ ફરી વળ્યુ છે. મૃતકો યુવકોના મૃતદેહો લાવવા માટે રાજય સરકાર માટે આવી છે અને વિમાન માર્ગે વતન પહોંચાડવા ઉતરાખંડ સરકાર સાથે સંપર્ક-સંકલન કર્યુ હતું.
મોતને ભેટેલા ચાર યુવકોમાંથી કુશલ સુથારનો જન્મદિન : પરિવાર પર વજ્રઘાત
કેદારનાથ જતા માર્ગ દુર્ઘટનામાં મોતને ભેટેલા અમદાવાદના ચાર યુવકો પૈકી ઘોડાસરમાં ન્યુ આરતી સોસાયટીમાં રહેતા કુશલ સુથારનો જન્મદિવસ શનિવારે હતો. 35 વર્ષિય યુવકના જન્મદિન ટાણે જ મોતના સમાચાર આવતા પરિવારજનો પર વજ્રઘાત સર્જાયો હતો. સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.