Bhavnagar
ડુંગળીની માંગ નહીવત હોવાના કારણે ખેડૂતોને રોવાનો વારો – કોંગ્રેસે રોષ ઠાલવ્યો

દેવરાજ
- ડુંગળીના ભાવમાં ખેડૂતોને લાખના બાર ઉત્પાદનનો ખર્ચ મળવાના પણ ફાફા : ખેડૂતોને વેચાણ પર આર્થિક સહાય આપવા ઉઠેલી માંગ ; જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા જયદીપસિંહે ઠાલવી વેદના
સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન સૌથી વધુ ભાવનગર જિલ્લામાં થાય છે અને આ વખતે પણ પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થવા પામ્યું છે અને તૈયાર થયેલ ડુંગળીનો પાક જિલ્લાના વિવિધ માર્કેટ યાર્ડોમાં વેચાણ અર્થે આવેલ છે પરંતુ હાલમાં ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ ન નિકળતો હોય ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ભાવનગર જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા જયદીપસિંહ ગોહિલે ડુંગળીમાં ખેડૂતોને વેચાણમાં સહાય આપવાની માંગ સાથે ખેડૂતો વતી બળાપો ઠાલવ્યો છે. ભાવનગર જિલ્લામાં મુખ્યત્વે ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અને માલ ખેડૂતોએ તૈયાર કરવામાં અંદાજીત ૨૨૫ જેટલો ખર્ચ એક મણ દીઠ થતો હોય છે.
જ્યારે હાલ ભાવનગર, મહુવા, તળાજા, પાલિતાણા તથા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક મોટા પ્રમાણમાં થઇ છે અને હાલમાં બહારના રાજ્યોની લોકલ આવક તેમજ અન્ય દેશોની ડુંગળીની ડિમાન્ડ ઓછી હોવાથી ખેડૂતોને ડુંગળીનો ખુબ જ નીચો એટલે કે રૂ.૮૦ થી ૧૩૫ સુધીનો એક મણનો ભાવ મળી રહ્યો છે જેથી ખેડૂતોને ભારે નુકશાની ભોગવવી પડે છે અને પોતાના માલનું ઉત્પાદન કરેલ ખર્ચ પણ નિકળતો નથી અને ખેડૂતોને ભારે નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અગાઉના વર્ષોમાં જે રીતે ખેડૂતોના યાર્ડના વેચાણ ઉપર સહાય આપવામાં આવેલ તે મુજબ અત્યારના ડુંગળીના વેચાણ ઉપર પણ ખેડૂતોને સહાય જાહેર કરવામાં આવે અને બહારના દેશોમાં માલની નિકાસ માટેની પોલીસીમાં વિકાસને પ્રોત્સાહન મળે તેવી પોલીસી બને તો બાકી રહેલ ખેડૂતોને તેના ઉત્પાદનમાં યોગ્ય વળતર મળી રહે તેવી માંગ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા જયદીપસિંહ ગોહિલે કરી છે