Gujarat
સમગ્ર ગુજરાત ભયના ઓથાર હેઠળ
![entire-gujarat-under-the-spell-of-fear](https://shankhnadnews.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-15-at-9.20.34-AM.jpeg)
કુવાડિયા
કાલે ‘કયામત’નો દિવસ ! વાવાઝોડુ ત્રાટકશે : રાજ્યમાં સૈન્યએ મોરચો સંભાળ્યો : કચ્છ – દ્વારકા – જામનગર જિલ્લા ઉપર સૌથી વધુ ખતરો : વાવાઝોડુ ૧૬૫ કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે : આજથી ભારે વરસાદ – વિનાશકારી પવન ફુંકાવાનું શરૂ થશેઃ વાવાઝોડાને ભરી પીવા તંત્ર સાબદુ : આજથી શાળા-કોલેજો-યાર્ડો-બજારો બંધઃ લોકોને એલર્ટ રહેવા તાકીદ
અરબી સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન ‘બિપરજોય’ મંગળવારે થોડું નબળું પડ્યું છે, પરંતુ તે ‘અતિ ગંભીર’ની શ્રેણીમાં છે. હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી હતી કે ગુજરાતના ત્રણ જિલ્લા કચ્છ, દ્વારકા અને જામનગર જિલ્લામાં સૌથી વધુ નુકસાન થઈ શકે છે. જયારે આ વાવાઝોડું દરિયાકાંઠે અથડાશે ત્યારે આ ત્રણ જિલ્લાઓમાં તોફાન અને વરસાદનો મહત્તમ વિનાશ થશે. નબળું પડવા છતાં આ વાવાઝોડું ભારે વિનાશ સર્જવા સક્ષમ છે. અત્યાર સુધીના અનુમાન મુજબ, તે ગુરૂવારે સાંજે સૌરાષ્ટ્ર અને કચ્છને પાર કરીને ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચેના કાંઠે અથડાશે. બપોર સુધીમાં તે ત્રાટકશે તેવો અંદાજ અગાઉ હતો. અથડામણના સમયે તોફાનની ઝડપ ૧૨૫ થી ૧૫૦ કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે.
હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર આટલું જોરદાર વાવાઝોડું ભારે વિનાશ સર્જવા સક્ષમ છે.ચક્રવાતી તોફાન ‘બિપરજોય’ દરિયામાં ૧૬૫ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આવતીકાલે સાંજે, તે ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ક્યાંક દરિયાકાંઠે અથડાઈ શકે છે. તે સમયે તોફાનની ઝડપ ૧૨૫ થી ૧૫૦ કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે. સાગરમાં ઉદભવેલા શક્તિશાળી ચક્રવાત ‘બિપરજોય’ ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ખૂબ જ શક્તિશાળી વાવાઝોડાને જોતા અધિકારીઓએ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ ૩૦,૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા.દરમિયાન, રાજયમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ( NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ઘણી ટીમોને તૈયાર રાખવામાં આવી છે. આ સાથે સેનાએ સિવિલ એડમિનિસ્ટ્રેશન અને NDRF સાથે મળીને રાહત કામગીરીનું આયોજન કર્યું છે. સેનાએ વ્યૂહાત્મક સ્થળોએ પૂર રાહત એકમોને પણ તૈયાર રાખ્યા છે.રાજયમાં જામનગર કચ્છ અને દ્વારકામાં સૌથી વધુ ખતરો છે દરમિયાન આજથી શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે યાર્ડ અને બજાર પણ બંધ છે. લોકોમાં ભય – ડરની લાગણી જોવા મળી રહી છે.