Sihor
તંત્રના પાપે સિહોરની ગૌતમી નદી દુર્ગંધયુકત ગટર બની જશે

પવાર
- ગૌતમીનદી પાસેથી પસાર થાઓ એટલે ફરજિયાત નાકે ડૂચો દઇને જ પસાર થવું પડે તેવી સ્થિતી, નદીમાં ભળી ગયુ ગટરનું પાણી, અનેક જગ્યાએ જંગલી છોડ ઊગી ગયા, પથ્થરો ધસી આવતા નદીએ જાણે અસ્તિત્વ ગુમાવ્યુ
- હજી પણ સિહોર નગરપાલિકા નહીં જાગે તો આ નદીનું અસ્તિત્વ જોખમમાં મુકાઇ જશે, અનેક મંદિરોએ જવાનો માર્ગ પણ અહીંથી પસાર થાય છે : નદીની સફાઇ માટે સહિયારા પ્રયાસોની જરૂર
સિહોર શહેરમાંથી પસાર થતી ગૌતમી નદી કે જેના પર પ્રવાસીઓ અને નગરજનો માટે પાર્ક કે રિવરફ્રન્ટ બનાવી લોકોને આકર્ષી શકાય તેવું સ્થળ છે. પરંતુ તંત્રના પાપે આ નદીનો પટ ગંદકીની ખાણ સમાન બની ગયો છે. અને ગામડાની કોઇ નદીના પટ કરતાં પણ સિહોરની નદીમાં ગંદકીનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને જો આ બાબતે હજી પણ સિહોર નગરપાલિકા નહીં જાગે તો આ નદી, નદી નહીં પણ ગટર બની જશે. સિહોર જેવું શહેર કે જે ઐતિહાસિક,ઔધોગિક દષ્ટિએ જિલ્લામાં અગ્રેસર છે. નવનાથના બેસણા છે. અને એમાંના બે-ત્રણ નાથ તો ગૌતમી નદીના પટ પર જ આવેલ છે. વરસે સિહોરમાં બેશુમાર માત્રામાં ભાવિક ભકતજનો સિહોરની મુલાકાતે આવે છે. સુપ્રસિધ્ધ ગૌતમેશ્વર જવાનો માર્ગ પણ ગૌતમીના કિનારે-કિનારેથી પસાર થાય છે. મુકતેશ્વર પણ ગૌતમી નદીના તટ પર આવેલું છે. આમ, સિહોરના ઘણા પવિત્ર સ્થળો ગૌતમી નદીના તટ આવેલા છે. છતાં તંત્રને ગૌતમી નદી પરની ગંદકી દૂર કરવાનું સુઝતું જ નથી. આ બાબતે લોકોએ પણ હવે જાગૃત બની તંત્રના કાન આમળવા જ રહ્યા. નહીંતર આગામી સમયમાં સિહોરની ગૌતમી નદી ફકત ઇતિહાસના પાના પૂરતી જ સીમિત થઇ જશે. આ અંગે સૌએ સાથે મળી સહિયારા પ્રયાસથી ગૌતમી નદીને એક સાફ સુથરી નદી બનાવવી જ રહી.
ક્યાં સુધી જનતા સહન કર્યા રાખશે
સિહોર ઐતિહાસિક નગર છે. ગૌતમ ઋષિના નામ પરથી જે નદીનું નામ પડયું હોય તે નદીની આટલી બદતર હાલત ? આખરે કયાં સુધી સિહોરવાસીઓએ આ બધું સહન કરવાનું ? તંત્ર પોતાની આળસ ખંખેરી ગૌતમી નદીની સફાઇ કરવા માટે અભિયાન હાથ ધરે તે અત્યંત જરૂરી છે.
નદીની ગંદકીથી તોબા -તોબા
સિહોરની ગૌતમી નદીની ગંદકીને કારણે અમારા વિસ્તારના રહીશો તોબા-તોબા પોકારી ઊઠયા છે. નદીની ગંદકીમાંથી આવતી દુર્ગંધ એટલી તીવ્ર હોય છે કે અમારા અહીં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. સિહોર નગરપાલિકા ગૌતમી નદીને કયારે સ્વચ્છ બનાવશે?
ગંદકીને કારણે મચ્છરોનો ત્રાસ
સિહોરમાંથી પસાર થતી ગૌતમી નદીની ગંદકી અમારા માટે અસહ્ય બની ગઇ છે. ગંદકીને કારણે અમારા વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. અને રોગચાળાની ભીતિ પણ સેવાઇ રહી છે. સિહોરનું તંત્ર આખરે કયાં સુધી આ બાબતે મુક પ્રેક્ષક બની રહેશે?
સફાઇ કરવામાં તંત્રના આંખ આડા કાન
ચોમાસું ઢૂંકડું આવી રહ્યું છે. થોડા દિવસો બાદ ચોમાસાનું આગમન થશે. પરંતુ નદી સાંકડી બની જતાં જો તળાવ ઓવરફલો થયું તો નદીનું પાણી ટાણા રોડ કે આજુબાજુના રહેણાંકી વિસ્તારોમાં ઘુસી જવાની શક્યતા રહે છે. સિહોરનું તંત્ર આ દશ્ય જુએ છે છતાં ગૌતમી નદીને સાફ કરવામાં કોઇ અકળ કારણોસર આંખ આડા કાન કરે છે. તંત્ર મૌન ધારણ કરીને બેઠું છે. આ દિશામાં કોઇ આયોજનબદ્ધ કામગીરીનું આયોજન કર્યું તેવું દેખાતું નથી. નગરજનોમાં આ બાબતે ભારે નારાજગી છે.