Sihor
સિહોર તાલુકાના સણોસરા લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં યોજાશે ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા
!['Darshak' memorial lecture will be held at Sanosara Lokabharati Gramvidyapeeth of Sihore taluk](https://shankhnadnews.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-28-at-9.54.23-AM.jpeg)
પવાર
-
કેળવણીકાર શ્રી મનસુખ સલ્લા આપશે વ્યાખ્યાન – પૂર્વ વિદ્યાર્થીઓનું યોજાશે સન્માન
સિહોર તાલુકાના સણોસરા લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યસર્જક શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત કેળવણીકાર શ્રી મનસુખ સલ્લા વ્યાખ્યાન આપશે. આ કાર્યક્રમમાં અહીના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન યોજાશે. ગોહિલવાડના ગૌરવરૂપ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે આગામી મંગળવાર તા.૨૯ સવારે ‘દર્શક’ સ્મારકમાળામાં લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયનાં પૂર્વ આચાર્ય, દર્શક સાહિત્યનાં પ્રમાણભૂત વક્તા અને કેળવણીકાર શ્રી મનસુખ સલ્લા ‘દર્શકનું કેળવણી દર્શન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ વિષય પર વ્યાખ્યાન આપશે.
લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા, કેળવણીકાર અને સાહિત્યકાર સર્જક, ચિંતક શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળાના આ વિશમાં મણકાના વ્યાખ્યાન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન યોજાશે. સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવે તથા શ્રી રઘુવીરભાઈ ચૌધરી અને નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિ સાથે શ્રી રામચંદ્ર ભાઈ પંચોળીના સંકલન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે, જેમાં શ્રી અતુલભાઈ પંડ્યા (પર્યાવરણ અને ગાંધી વિચાર – પ્રચાર), શ્રી બિંદુબેન અને પાર્થેશભાઈ પંડ્યા ( શિક્ષણ અને ગ્રામવિકાસ) તથા શ્રી રવજીભાઈ ગાબાણી (સરકારી વહીવટ) સમાવિષ્ટ છે. આયોજનમાં લોકભારતી પરિવાર જોડાયેલ છે.