Sihor
શંખનાદ ઇમ્પેક્ટ ; આખરે સિહોર નગરપાલિકા ગટર વિભાગ સફાળું જાગ્યું……શહેરની તમામ ગટરોને સાફ સફાઈ કરવા આદેશ

દેવરાજ
સિહોર શહેરમાં ગટરની સમસ્યા ઘેરી બની છે. અનેક વોર્ડ વિસ્તારોમાં ગટરના પાણીના કારણે સમસ્યા ઘેરી હતી લોકોની અનેક રજૂઆત છતા કોઈ નિકાલ નહિ આવતા લોકો ત્રાસી ગયા હતા જે અંગેના શંખનાદમાં સમાચાર પ્રસિદ્ધ થયા બાદ સિહોર નગરપાલિકા વિભાગ સફાળું જાગ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર દિન-પ્રતિદિન સફાઈના અભાવે ગંદકી અને કચરાના ઢગો જોવા મળી રહ્યાં હતા.
ગટરોના ગંદા પાણી ફરી વળતાં રાહદારીઓ સહિત વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને આ અંગે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી. છેલ્લા 15 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં ગટરના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.
ગઇકાલે શંખનાદના અહેવાલો બાદ નગરપાલિકાનું ગટર વિભાગ તંત્ર સફાળુ જાગ્યું હતું. વહેલી સવારથી જ તમામ કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા હતા અને જુદા જુદા વિસ્તારમાં જ્યાં પણ ગટર ઉભરાતી હોય ત્યાં 24 કલાકમાં તમામ ગટર બંધ કરવા આદેશો આપવામાં આવ્યા હતા.
ગટર વિભાગના સુપરવાઇઝર ભરતભાઈ ગઢવી અને ભાવેશભાઈ બારોટ અને ટિમ વિવિધ વિસ્તારોમાં કામે લાગી છે ત્યારે લોકોએ શંખનાદ સહિત વહીવટી તંત્રનો આભાર વ્યકત કર્યો હતો.