Sihor
આજે કોમી એકતારૂપ ઉત્સવ : ઇદ – અખાત્રીજ – પરશુરામ જન્મોત્સવનો સંગમ

દેવરાજ
પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ આ દિવસથી અભ્યાસનો પ્રારંભ કરાવતા હતા : સિહોર સહિત જિલ્લામાં ધર્મોત્સવ, સિહોર ખાતે પરશુરામ ગ્રુપ આયોજિત શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભુદેવો જોડાઈ પાવન પ્રસંગને યાદગાર બનાવશે, મુસ્લિમ સમાજ ઇદ પણ હર્ષોલ્લાસ સાથે ઉજવશે
સિહોર સહિત જિલ્લામાં આજે કોમી એકતારૂપ ઉત્સવ સાથે ઇદ, અખાત્રીજ અને ભગવાન પરશુરામ જન્મોત્સવનો સંગમ સર્જાશે. જગતનાં આરાધ્ય દેવ અને વિષ્ણુ ભગવાનનાં છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજીની જન્મજયંતીની ઉજવણી સિહોર સહિત જિલ્લાભરમાં ભૂદેવો દવારા ધામધૂમથી કરવામાં આવે છે એટલેકે પરશુરામ જન્મ જયંતીનાં દિવસે ભગવાન પરશુરામજીનું પૂજન અર્ચન, યજ્ઞ કે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
આજે ભગવાન પરશુરામજીની જન્મ જયંતી છે. સિહોર શહેર ખાતે નીકળનાર શોભાયાત્રામાં સમગ્ર ભુદેવો પૂજન-અર્ચન, આરતી કરી બહોળી સંખ્યામાં ભુદેવોને જોડાઈ આ પાવન પ્રસંગને યાદગાર બનાવશે. ભગવાન પરશુરામ જયંતીની ઉજવણીને દિવ્ય-ભવ્ય બનાવવા ભુદેવો ઘ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શોભાયાત્રામાં ’જય પરશુરામ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠશે. તો બીજી બાજુ મુસ્લિમ સમાજનો રમજાન માસ કાલે પૂર્ણ થયો છે આજે હર્ષોલ્લાસ સાથે ઇદની ઉજવણી થનાર છે ત્યારે કોમી એકતારૂપ ઉત્સવ અને તહેવારો ઉજવાશે.