Bhavnagar
ભાવનગર સહિત રાજ્યમાં શુક્રવારથી નહીં મળે CNG ગેસ ; અચોક્કસ મુદ્દત સુધી બંધ રહેશે વેચાણ

પવાર
ભાવનગર સહિત રાજ્યમાં સીએનજી વાહન ચાલકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી ૩ માર્ચ એટલે કે શુક્રવારથી સીએનજી ગેસનું વેચાણ બંધ કરવાનો નિર્ણય ફેડરેશન ઓફ ગજરાત પેટ્રોલિયમ એસોસીએશન દ્વારા કરવામાં આવ્યો છે. એસોસીએશન દ્વારા નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધીમાં ગેસનું વેચાણ નહીં કરવામાં આવે. આ નિર્ણયને કારણે આગામી દિવસમાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. પ્રાપ્ત વિગત અનુસાર, છેલ્લા ૫૫ મહિનાથી ગેસ વેચાણ માટેનું ડીલર માર્જીન ન વધતા ડીલર્સ એસોસિએશને ત્રણ માર્ચથી અચોક્કસ મુદ્દત સુધી વેચાણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. માર્જીનમાં વધારો છેલ્લે ૨૦૧૭માં એગ્રીમેન્ટ સમયે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજદીન સુધી વધારો કરવામાં આવ્યો નથી.
પેટ્રોલિયમ મંત્રી દ્વારા ૦૧.૧૨.૨૦૨૧થી માર્જીન વધારવાનો આદેશ હોવા છતાં અત્યાર સુધી કંપનીઓને વારંવાર રજૂઆત કરવા છતાં માર્જીનમાં વધારો કરવામાં આવ્યો નથી. પંપ ધારકોનું છેલ્લા દોઢ વર્ષથી કમિશન રૂ ૧.૨૫ થી વધારવાની માગ યથાવત રાખવામાં આવી હતી. પરંતુ ગેસ કંપની દ્વારા તેમની માગને સંતોષવામાં નહીં આવતા ફરી એક વખત પંપ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગેસનું માર્જિન કંપની દ્વારા કોસ્ટ બેઝ ફોર્મ્યુલાથી નક્કી કરવામાં આવતુ હોય છે. જે દર ૨ વર્ષે સીએનજી કંપની અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા રિટેલ એગ્રીમેન્ટ રીન્યુ કરવાના સમયે વેપારમાં થતાં ખર્ચને ધ્યાનમાં લઈને વધારો કરવામાં આવે છે. સીએનજી ગેસના વેચાણ માટેનું ડીલર માર્જીન છેલ્લા ૫૫ મહિનાથી ન વધતા ફેડરેશન તરફથી અનેક પત્ર લખ્યા હતા અને મિટીંગ પણ કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ પરિણામ ન આવતા આજે રાજ્યાના ડીલર્સની મિટીંગ મળી હતી. જેમાં સર્વાનુમતે ત્રણ માર્ચે સવારે ૭ વાગ્યાથી અચોક્કસ મુદ્દત સુધી સીએનજી ગેસનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.