Sihor
સિહોર શહેરમાં પાણી માટે વલખા મારતા નાગરિકો – કાલે કોંગ્રેસના ધરણાં

દેવરાજ
વર્ષો પહેલા બનેલો ફિલ્ટર પ્લાન્ટ શરૂ થતો જ નથી, દુર્ગંધયુક્ત પાણી વિતરણથી લોકોના આરોગ્ય ઉપર ખતરો, રોગચાળો ફાટી નીકળવાની દહેશત, કાલે કોંગ્રેસના ધરણા
ઔદ્યોગિક દ્રષ્ટીએ હરણફાળ ભરતા સિહોર શહેરના નાગરિકો શાસકોના પાપે પીવાના શુધ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે. સિહોરની પ્રજાને અઠવાડિયે દસ બાર દિવસે એક વખત પાણી આપવામાં આવે છે. તે પણ ડહોળું અને દુર્ગંધયુક્ત આવતું હોવાથી લોકોના આરોગ્ય ઉપર તેની વિપરીત અસર પડી રહી છે. પાણીના મામલે શાસકો અને ન.પા. તંત્રની આંખ ઉઘાડવા માટે આવતીકાલે વિપક્ષ કોંગ્રેસના આગેવાનો ધરણાં કરવા બેસવાના છે સિહોર શહેરની ૮૦ હજારની વસતીને દસ બાર દિવસે પાણીનું વિતરણ થાય છે. જે પાણી મળે છે, તે ફિલ્ટર વિનાનું હોવાથી ડહોળું અને દુર્ગંધયુક્ત હોય છે. જેના કારણે લોકો પીવા માટે તો ઠીક પણ નહાવા-ધોવા કે વાસણ ધોવા માટે પણ તેનો ઉપયોગ કરી શકતા નથી. સિહોર નગરપાલિકામાં ભાજપના શાસનને બે દાયકા થયા છે. અહીં નાગરિકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે વર્ષો પહેલા ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો.
પરંતુ નબળી નેતાગીરી અને નપાણિયા તંત્રના પાપે આજદિન સુધી ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવામાં જ આવ્યો નથી. ઉનાળાના દિવસોમાં સ્વાભાવિક જ પાણીની જરૂરિયાત વધી જતી હોય, આવા સમયમાં પણ લોકોને જીવન જીવવા માટે પ્રાથમિક જરૂરિયાત એવા પાણીના વિતરણમાં ધાંધિયા કરવામાં આવી રહ્યા હોય, જે મુદ્દાને લઈ કોંગ્રેસ દ્વારા આવતીકાલે શુક્રવારે આંબેડકર ચોક ખાતે સવારથી સાંજ સુધી ધરણાં કરવામાં આવશે. જયદીપસિંહે જણાવ્યું હતું કે સિહોર ન.પા.ના સત્તાધિશોની અણઆવડતના પાપે પીવાના પાણીના એક બેડા માટે જ્યાં-ત્યાં ભટકવું પડે તે શરમજનક બાબત છે. તેમજ ફિલ્ટર પ્લાન્ટ પણ બનીને તૈયાર હોવા છતાં ફિલ્ટર કરીને પાણીનું વિતરણ થતું ન હોય, જેથી રોગચાળો પણ ફાટી નીકળવાની દહેશત રહેલી છે. કાલે કોંગ્રેસના ધરણામાં લોકો મોટી સંખ્યામાં જોડાઈ તેવી લાગણી પણ જયદીપસિંહે વ્યક્ત કરી હતી