Sihor
સિહોર ભાવનગર વચાળે આવેલ નવાગામના તળાવમાં કેમિકલયુક્ત કચરો ઠલવાયો, આરોગ્યનો મોટો ખતરો

દેવરાજ
- કેમિકલ વેસ્ટ તળાવમાંથી બહાર કાઢયો, નવાગામની 3500 જેટલી વસ્તીને પીવાનું પાણી પુરૂ પાડતા બોરના તળમાં પણ જાય છે કેમિકલયુક્ત પાણી
એક તરફ સરકાર વધતા જતા પ્રદૂષણ માટે ચિંતિત છે અને લોકોના આરોગ્ય બાબતે ઘણી ગંભીરતા દાખવી અબજો રૂપિયા ફાળવે છે જ્યારે બીજી તરફ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નિષ્ક્રિયતા અને બેદરકારીને કારણે તળાવો પણ પ્રદૂષિત થઈ રહ્યા છે. સિહોર ભાવનગર વચાળે આવેલ નવાગામના તળાવમાં આસપાસની ઔદ્યોગિક કંપનીઓ દ્વારા રાસાયણિક કચરો ઠાલવી જાય છે. જે તળાવના પાણી 3,500 જેટલા ગ્રામજનોને પીવાનું પાણી પૂરું પાડતા બોરના તળમાં જાય છે. તંત્રની આ બેદરકારી આગામી દિવસોમાં ગ્રામજનોના આરોગ્ય પર મોટો ખતરો સાબિત થશે.
નવાગામ ગામ આસપાસ અનેક ઔદ્યોગિક એકમ આવ્યા છે અને તે પૈકી મોટાભાગે કેમિકલનો ઉપયોગ કરતી કંપનીઓ જ છે. જે ઔદ્યોગિક એકમો દ્વારા સરકારી પડતર અને ગૌચરની જમીનોમાં તેમજ તળાવમાં પણ કેમિકલ યુક્ત વેસ્ટ મટીરીયલ નાખવાના અસંખ્ય બનાવો બન્યા છે. અનેકવાર જીપીસીબી ને પણ જાણ અને રજૂઆતો કરી છે. પરંતુ આજ સુધી કોઈ સામે કડક પગલાં ભરવામાં આવ્યા નથી. થોડા દિવસ પહેલા નવાગામના તળાવમાં સોડિયમ હાઇપોફોસ્ફાઇટ, લિથિયમ 12-હાઈડ્રોક્સીસ્ટેરેટ સહિતના રાસાયણિકયુક્ત કચરો ઠાલવવામાં આવ્યો છે.
આ વર્ષે સારા વરસાદને કારણે તળાવ પણ છલોછલ ભરાઈ ગયું છે. જે તળાવ આસપાસના તળ પણ ઊંચા લાવે છે. નજીકમાં જ નવા ગામના લોકોને પીવાનું પાણી પૂરું પાડતા બે ડાર પણ છે. જેથી તળાવનું આ કેમિકલ યુક્ત પાણી ડારના તળમાં પણ ભળી ગયું છે. જેથી ગ્રામજનોના આરોગ્ય પર પણ જોખમ છે. આ સંદર્ભે ગ્રામ પંચાયત દ્વારા તળાવમાંથી કેમિકલ વેસ્ટ બહાર કાઢવામાં આવ્યો છે અને માજી સરપંચની રજૂઆત સંદર્ભે વહીવટદાર દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ લેખિતમાં જાણ કરાય છે. ગ્રામજનોનો હવે જીપીસીબી પર વિશ્વાસ ઉઠી ગયો છે અને કલેકટર દ્વારા આ ગંભીર મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આશા બંધાઈ છે.