Sihor
લોકસભાની ચૂંટણી માટે તૈયાર રહેવા ભાજપના આગેવાનોને હાંકલ ; સિહોર ખાતે ત્રણ દિવસીય કારોબારી બેઠકનો આજથી પ્રારંભ
પવાર
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટીને રિતસર હચમચાવી દીધી છે. આજે સિહોર ખાતે પ્રદેશ અને જીલ્લા ભાજપના નેતાઓની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાઇ હતી.
જેમાં તમામ ઉપસ્થિત આગેવાનોએ લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપના સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવાની વાત પર ભાર મૂક્યો હતો. આજે સવારે સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે ત્રણ દિવસીય કારોબારી બેઠકના પ્રથમ દિવસે પ્રદેશ અને જિલ્લા ભાજપના આગેવાનોની હાજરીમાં વલ્લભીપુર શહેર તાલુકા, ઉમરાળા તાલુકા તેમજ સિહોર અને ગ્રામ્ય અને શહેરની બેઠકો લેવાય હતી જેમાં લોકસભાની આગામી ચૂંટણીમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હોમ સ્ટેટમાં ભાજપ લોકસભાની તમામ 26 બેઠકો પર વિજય મેળવે એટલું જ નહિં ભાવનગરમાં રેકોર્ડબ્રેક લીડ સાથે ભાજપના ઉમેદવાર વિજેતા બને તે માટે સંગઠન માળખાને મજબૂત બનાવવા પર જોર મૂકવા માટે આહવાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 30 મેના રોજ વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદી 9 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે.
જેની દેશભરમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવશે. આજે પ્રદેશ ભાજપ કારોબારીમાં આ મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પ્રમુખ આરસી મકવાણાએ 9 વર્ષ બેમિશાલ અંતર્ગત ઘર-ઘર સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવનાર છે. જેના માટે ભાજપના આગેવાનોને વિસ્તૃત યાદી તૈયાર કરવા માટેની ટકોર કરી હતી. 30મી મેથી ભાજપ દ્વારા સતત એક મહિના સુધી મહાસંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. ભાજપ સરકારના 9 વર્ષની સફળતાને કેવી રીતે લોકો વચ્ચે લઈ જઈને ભાજપનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો એ માટે ચર્ચા થઈ રહી હતી. મોદી સરકારની ઉપલબ્ધીઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે 30મેથી 30મી જૂન સુધી એક મહિનાના કાર્યક્રમ જાહેર કર્યા હતા. આ કારોબારીની બેઠક બોલાવીને સ્થાનિક નેતાઓને સક્રિય થવાનો સંદેશો આપવામાં આવ્યો છે. પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં માત્ર બેઠક જીતવા માંગતી નથી, પરંતુ આ બેઠક પર પાંચ લાખ મતોના વિજય માર્જિનને પણ જાળવી રાખવા માંગે છે.