Gujarat
ઈરાની કપ માટે રેસ્ટ ઑફ ઈન્ડિયા ટીમમાં ભાવનગરના હાર્વિક દેસાઈ અને ચેતન સાકરિયાની પસંદગી : 1 માર્ચથી મધ્યપ્રદેશ સામે મુકાબલો

બરફવાળા
- મયંક અગ્રવાલને સોંપાઈ કમાન: સરફરાઝ ખાન ઈજાને કારણે આઉટ: નવદીપ સૈની સહિતના ખેલાડીઓ મચાવશે ધમાલ
આગામી તા.1થી 5 માર્ચ દરમિયાન ગ્વાલિયરના કેપ્ટન રૂપસિંઘ સ્ટેડિયમ ઉપર રેસ્ટ ઑફ ઈન્ડિયા અને 2020ની રણજી ચેમ્પિયન મધ્યપ્રદેશ વચ્ચે ઈરાની કપનો મુકાબલો રમાશે જેમાં સૌરાષ્ટ્રના બે ખેલાડી હાર્વિક દેસાઈ અને ચેતન સાકરિયાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ટીમની કમાન આ વખતની રણજી સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર મયંક અગ્રવાલને સોંપવામાં આવી છે તો ઈન ફોર્મ બેટર સરફરાઝ ખાન ઈજાને કારણે આ મુકાબલો રમી શકશે નહીં. ઈરાની કપ અંતર્ગત રેસ્ટ ઑફ ઈન્ડિયા અને રણજી ટ્રોફીમાં ચેમ્પિયન ટીમ વચ્ચે એક મુકાબલો રમાતો હોય છે.
2020માં મધ્યપ્રદેશની ટીમ ચેમ્પિયન બની હતી પરંતુ કોરોનાને કારણે ઈરાની કપનો આ મુકાબલો રમાઈ શક્યો નહોતો. હવે જ્યારે સ્થિતિ થાળે પડી ચૂકી છે ત્યારે બાકી રહેલા આ મુકાબલો 1થી 5 માર્ચ દરમિયાન રમાશે. જ્યારે આ વખતની રણજી ટ્રોફી ચેમ્પિયન સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઑફ ઈન્ડિયા વચ્ચે ઈરાની કપનો મુકાબલો નવેમ્બરમાં રમાય તેવી શક્યતા છે. દરમિયાન ઑલ ઈન્ડિયા સીનિયર સિલેક્શન કમિટી દ્વારા રેસ્ટ ઑફ ઈન્ડિયા ટીમની પસંદગી કરવામાં આવી છે જેમાં મયંક અગ્રવાલને કેપ્ટન બનાવાયો છે તો અભિમન્યુ ઈશ્ર્વરન, યશસ્વી જયસ્વાલ સહિતના ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જ્યારે સરફરાઝ ખાન ઈજાને કારણે આ મુકાબલો રમી શકશે નહીં.
રેસ્ટ ઑફ ઈન્ડિયા ટીમ
મયંક અગ્રવાલ (કેપ્ટન), ચેતન સાકરિયા, હાર્વિક દેસાઈ, અભિમન્યુ ઈશ્વરન, યશસ્વી જયસ્વાલ, યશ ધૂલ, બાબા ઈન્દ્રજીત, ઉપેન્દ્ર યાદવ (વિકેટકિપર), અતિત શેઠ, સૌરભ કુમાર, નવદીપ સૈની, મુકેશ કુમાર, અક્ષદીપ, મયંક માર્કંડે, પુલકીત નારંગ, સુદીપ કુમાર