Bhavnagar
ભાવનગર : STની 111 લકઝરી અને 40 સ્લિપર બસો તૈયાર: સોમવારે ભવ્ય લોકાર્પણ

પવાર
- મુખ્યમંત્રી ગાંધીનગર ખાતે ભાવનગર સહિતના જુદા-જુદા એસ.ટી. ડિવીઝનોને નવા વાહનોની ફાળવણી કરશે ; મે માસના અંત સુધીમાં નિગમ 300 લકઝરી, 200 સ્લિપર અને 400 મિની મળી 900 નવી બસો ઓપરેશનમાં મુકી દેશે
છેલ્લા કેટલાક વર્ષોથી એસટી નિગમમાં જુના અને ઓવરએઇજ વાહનોની જટીલ સમસ્યાનો અંત આવ્યો છે. અને રાજય સરકાર દ્વારા સમયાંતરે રાજયની મુસાફર જનતાની વધુમાં વધુ સગવડતા જળવાઇ રહે તે માટે એસટી તંત્રને નવા વાહનો કરોડો રૂપિયાના ખર્ચે ફાળવવામાં આવી રહયા છે અને છેલ્લા કેટલાક વર્ષોથી એસટી નિગમના નરોડા સ્થિત વર્કશોપ ખાતે પણ નવા વાહનોના નિર્માણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.એસટી તંત્રએ સમયની સાથે તેની સેવાઓ અને વાહનોમાં પણ આધુનિકતાપણું અપનાવ્યું છે. એસટીમાં હાલ ડિઝલ વાહનો ઉપરાંત વોલ્વો, લકઝરી એસી વાહનો, ઇલે. બસોનો ઉમેરો પણ કર્યો છે. ત્યારે આગામી તા.13-2ને સોમવારના રોજ એસટી નિગમ દ્વારા હાલમાં જ તૈયાર થયેલી નવી સ્લીપર અને ટુ બાય ટુ લકઝરી બસોનો ભવ્ય લોકાર્પણ સમારોહ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર એસટી ડેપો ખાતે યોજવામાં આવ્યો હોવાનો એસટી નિગમના અધિકારી સુત્રોમાંથી જાણવા મળી રહયું છે.મળતી વધુ વિગતો અનુસાર, આ નવી બસોના લોકાર્પણ સાથોસાથ ઓટોમેટીક પબ્લીક એનાઉન્સમેન્ટ સિસ્ટમનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, એસટી તંત્રના નરોડા વર્કશોપ ખાતે છેલ્લા કેટલાક મહીનાઓથી ટુ બાય ટુ લકઝરી અને સ્લીપર બસોનું નિર્માણ પુરજોશમાં ચાલી રહયું છે. અત્રે કુલ 500 જેટલી નવી સ્લીપર અને લકઝરી બસો તૈયાર થનાર છે. જે પૈકી હાલમાં જ 151 જેટલી લકઝરી અને સ્લીપર બસો તૈયાર થઇ ગઇ છે. જેમાં 111 ટુ બાય ટુ લકઝરી અને 40 સ્લીપર બસોનો સમાવેશ થાય છે. આ તમામ નવી બસો ભાવનગર સહિત રાજયના જુદા જુદા ડીવીઝનોને તા.13ના રોજ સવારે 9 કલાકે મુખ્યમંત્રીના હસ્તે ફાળવવામાં આવનાર છે. મળતી વધુ વિગતો અનુસાર ભાવનગર એસટી વિભાગને પણ 12નવી બસો આ દિવસે મળનાર છે. તથા અમદાવાદ વિભાગને 14, અમરેલી 6, ભુજ 10, વલસાડ 8, વડોદરા 8, ગોધરા 12, હિંમતનગર 10, જામનગર 8, જુનાગઢ 14, મહેસાણા 15, નડીયાદ 6, પાલનપુર 12, સુરત 10 અને ભરૂચ વિભાગને 2 નવી બસો ફાળવવામાં આવનાર છે.