Bhavnagar
ભાવનગર ; 3વર્ષ પહેલા પોલીસકર્મીએ પોતાના જ 3 પુત્રની કરી હતી હત્યા, કોર્ટે સંભળાવી આજીવન કેદની સજા
![Bhavnagar; Policeman killed his own 3 sons 3 years ago, court sentenced him to life imprisonment](https://shankhnadnews.com/wp-content/uploads/2023/05/66yt.jpg)
બરફવાળા
ભાવનગરમાં ત્રણ વર્ષ પહેલા થયેલા ત્રીપલ મર્ડર કેસમાં ભાવનગર સેશન્સ કોર્ટે આજે આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે. ત્રણ વર્ષ અગાઉ ભાવનગરના પોલીસ લાઈનમાં રહેતા એક પોલીસ કોન્સટેબલે બાળકને રમત રમવાનું કહીને રૂમમાં બંધ કરીને ત્રણે માસુમ બાળકોના ગળા કાપીને હત્યા કરી હતી. આ કેસમાં આજે ભાવનગર સેશન્સ કોર્ટે પોલીસ કોન્સટેબલને આજીવન કેદની સજા સંભળાવી છે. પ્રાપ્ત વિગત અનુસાર, ભાવનગર પોલીસ લાઈનમાં રહેતા અને ડેપ્યટી પોલીસ સુપ્રીટેન્ડન્ટની ઓફિસમાં ફરજ બજાવતા સુખદેવ શિયાળ નામના પોલીસ કોન્સટેબલે રવિવાર રજાના દિવસે બપોરના સમયે પત્નીને બીજા રૂમમાં મોકલીને ત્રણ બાળકને રૂમમાં પુરીને બાળકોના ગળા કાપીને હત્યા કરી દીધી હતી. આ કેસમાં ભાવનગર પોલીસે હત્યારા પોલીસ કોન્સટેબલને જેલના હવાલે કર્યો હતો. ત્યારે આજે ભાવનગર સેશન્સ કોર્ટે હત્યારા પોલીસ કોન્સટેબલને આજીવન કેદની સજા સંભળાવી છે. ભાવનગર પોલીસમાં 13 વર્ષ પહેલા જોડાયેલા સુખદેવના લગ્ન જીજ્ઞા સાથે થયા હતા.
લગ્નજીવન દરમિયાન તેમને ત્રણ સંતાનો થયા હતા. જેમાં ખુશાલ (ઉં.8), ઉધ્ધવ (ઉં.5) અને મનમીત (ઉં.3) હતા. આ ત્રણે સંતાનો ભાવનગરની દક્ષિણામુર્તિ શાળામાં અભ્યાસ કરતા હતા. પત્ની મેલી વિદ્યા કરતી હોવાની શંકાએ સુખદેવને પત્ની સાથે ઝધડા થતાં હતા. રવિવારના દિવસે બાળકો ઘરે હતા. તે દરમિયાન પત્ની જીજ્ઞાને બાળકોને રમત રમાડવી છે તને વાગી જશે તેમ કહીને બીજા રૂમમાં મોકલી દીધી હતી. પત્નીને બીજા રૂમમાં મોકલીને સુખદેવે બાળકોને એક રૂમમાં બંધ કરીને ત્રણ બાળકોના ગળા કાપી નાખ્યા હતા. જ્યારે બાળકો મદદ માટે બુમો પાડી રહ્યા હતા ત્યારે જીજ્ઞાએ દરવાજો તોડવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં બાળકોને બચાવી શકી ન હતી. આ મામલે પોલીસને જાણ કરતાં ભાવનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. જ્યારે પોલીસે દરવાજો ખોલ્યો ત્યારે પોલીસ પણ ધ્રુજી ગઈ હતી, કારણ કે રૂમમાં ત્રણ બાળકોના ગળા કાપેલી હાલતમાં મૃતદેપ પડ્યા હતા અને રૂમમાં લોહીની નદીઓ વહી રહી હતી. હાલ પોલીસ કોન્સટેબલ સુખદેવ કરેલી ભુલ પર પછતાવાના આંસુ સારે છે. પરંતું હવે સમય પાછો આવી શકે તેમ નથી.