Bhavnagar
ભાવનગર ડિમોલેશન વિવાદનો મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં, પુરાવા રજૂ કરવા 15 દિવસનો સમય આપ્યો
બરફવાળા
ભાવનગર શહેરના 14 નાળા વિસ્તારમાં ચાલી રહેલો ડિમોલેશનનો વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ભાવનગર મહાનગર પાલિકા દ્વારા વર્ષોથી રહેતા 300 જેટલા પરિવારોના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની નોટીસ આપવામાં આવી હતી. જે અંગે વિસ્તારના રહિશોએ મહાપાલિકાની કચેરીએ પહોંચીને મેયર અને કમિશ્રનરને રજૂઆત કરીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. આ દરમિયાન એક પુરુષની તબીયત લથડતા મોતને ભેટ્યા હતા. ત્યારે હવે આ મામલો હાઈકોર્ટમાં પહોંચતા રહિશોને પુરાવા રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
ભાવનગરના 14 નાળા વિસ્તારમાં મહાનગરપાલિકાની માલિકની જમીન પર આવેલા મફતનગરમાં છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવાની કામગીરીના ભાગ રૂપે રહિશોને દબાણ દૂર કરીને જમીન ખુલ્લી કરવા માટે નોટીસ ફટકારવામાં આવી હતી. ત્યારે આ મામલો હવે હાઈકોર્ટમાં પહોંચતા મફતનગરના રહીશોને હાઈકોર્ટે 15 દિવસમાં પુરાવા રજૂ કરવા માટેનો આદેશ આપ્યો છે. 14 નાળા વિસ્તારમાં આવેલા મફતનગરમાં મહાનગરપાલિકાની માલિકીના પ્લોટ નંબર 1627, 1631, 1632, 1633, 1647, 1648 કુલ ક્ષેત્રફળ 9105 ચોરસ મીટર છે.
જેની અંદાજીત કિંમત 40 કરોડ રૂપિયા છે. આ જમીનમાં થયેલા દબાણને હટાવવા માટે મહાનગરપાલિકા દ્વારા કુલ 144 આસામીઓને નોટીસ આપવામાં આવી હતી. જેમાં જરૂરી હુકમો કરવામાં આવ્યા હતા. આ હુકમો સામે દબાણકર્તાઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં બે અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગેરકાયેદ બાંધકામ દૂર કરવા હુકમો રદ કરવા અને બાંધકામને દૂર નહીં કરવા અંગે મનાઈ હુકમ મેળવા માટે દબાણકર્તા દ્વારા દાદ માગવામાં આવી હતી. આ અરજીની આજે હાઈકોર્ટમાં સુનાવણી થતાં હાઈકોર્ટ દ્વારા અરજદારોને 15 દિવસમાં પુરાવા રજુ કરવા અને ત્યારબાદ હુકમના અમલ માટે બીજા 15 દિવસ આપવા તે મુજબના નિર્દેશ આપ્યો છે. જોકે હાઈકોર્ટ દ્વારા બાંધકામ નહીં તોડવા અંગે કોઈ મનાઈ હુકમ કે નિર્દેશ આપવામાં આવ્યો નથી.