Bhavnagar
ભાવનગર તોડકાંડ : સીટની ટીમે નાસતા ફરતા રાજુની ધરપકડ કરી , આ કેસના તમામ ૬ આરોપીઓ પોલીસના સકંજામાં
![Bhavnagar blast: Seat team arrests Raju on the run, all 6 accused in this case in police custody](https://shankhnadnews.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-29-at-11.03.03-AM-2.jpeg)
બરફવાળા
ડમીકાંડના ઉમેદવારના નામ દબાવવા માટે યુવરાજસિંહના સાગરીતોએ ૧ કરોડની ડીલ કરી હતી, તેના બે સાળા પણ સકંજામાં – કાનભા ગોહિલ પાસેથી ૩૮ લાખ અને શિવુભા ગોહિલ પાસેથી ૨૫ લાખ રિકવર કરાયા હતા, કમિશન પેટે પણ ૧૦ લાખ મળ્યા હતા
ભાવનગર ડમીકાંડ બાદ સામે આવેલા તોડકાંડને લઇ મામલો ગરમાયો છે અને યુવરાજસિંહ ૨૯ મી એપ્રિલ સુધી રિમાન્ડ ઉપર છે. દરમિયાન એસઆઈટીએ અગાઉ તેના બે સાળા કાનભા ગોહિલ અને શિવુભા ગોહિલને પણ દબોચ્યા હતા ત્યારે આજે નાસતા ફરતા રાજુ નામની વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે અને આ કેસમાં તમામ ૬ આરોપીઓ પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે. ડમીકાંડમાં બે ઉમેદવારોના નામ દબાવી દેવા માટે ૧ કરોડની ડીલ કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ પોલીસે કર્યો હતો અને તેના પૂરાવા પણ કબજે કર્યા હતા.
સરકારની વિવિધ ભરતીઓમાં ડમી ઉમેદવારો બેસાડીને પરીક્ષા પાસ કરવાના કૌભાંડનો વિધાર્થી નેતા યુવરાજસિંહે પર્દાફાશ કર્યો હતો . બાદમાં યુવરાજસિંહને એસઓજીએ સમન્સ પાઠવ્યું હતું અને બાદમાં તેની પૂછપરછ કરાયા બાદ આ કેસમાં તોડકાંડ સામે આવ્યો હતો. જેમાં ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમારે તમામ પૂરાવા આપ્યા હતા અને બાદમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલને સુરતમાંથી પકડી લેવામાં આવ્યો હતો અને તેના મિત્રના ઘરે ભાવનગર મૂકેલા ૩૫.૩૮ લાખ રિકવર કરવામાં આવ્યા હતા. બાદમાં શિવુભા ગોહિલે પણ સરેન્ડર કર્યું હતું અને તેની પાસેથી રૂ।.૨૫ લાખ રિકવર કરાયા હતા. જો કે ,શિવુભાએ આ સમગ્ર કેસ રાજ્કીય ષડયંત્ર હોવાનું કહીને અમને કસાવવામાં આવ્યા હોવાનું કહ્યું હતું. આજે સીટની ટીમે આ ગુનામાં નાસતા ફરતા રાજુ નામના શખ્સની પણ ધરપકડ કરી હતી