Gujarat
આમ આદમી પાર્ટીના પ્રમુખપદે ઈશુદાન ગઢવી ; ઈટાલીયાને હટાવાયા
વિધાનસભા ચૂંટણીમાં જબરી ઉતેજના સર્જનાર આપ એ રાજયના સંગઠનમાં ફેરફાર કર્યો : સૌરાષ્ટ્ર સહિત છ ઝોનમાં કાર્યકારી પ્રમુખ નિમ્યા : ઈટાલીયા રાષ્ટ્રીય સહ મહામંત્રી અને મહારાષ્ટ્રના સહ પ્રભારી
બરફવાળા
ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે ત્રિપાંખીયો જંગ સર્જનાર આમ આદમી પાર્ટીના રાજયના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને ગોપાલભાઈ ઈટાલીયાને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહપ્રભારી બનાવાયા છે જયારે ઈશુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના પ્રમુખ બનાવાયા છે અને અલ્પેશ કથીરીયાને સુરત ઝોનના કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
રાજયની ચૂંટણીમાં જબરી ઉતેજના અને સ્પર્ધા સર્જયા બાદ આમ આદમી પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં પાંચ બેઠકો પર વિજય મળ્યો હતો અને ખાસ કરીને ચૂંટણી સમયે ગોપાલ ઈટાલીયાના જુના વિડીયોનો વિવાદ સર્જાયો હતો અને ત્યારથી જ ઈટાલીયાનું પતુ કપાશે તે નિશ્ર્ચિત હતું. હવે ઈશુદાન ગઢવીને કે જેઓ ખંભાળીયા ધારાસભા બેઠક પરથી ચૂંટણી લડીને પરાજીત થયા હતા. તેમને પ્રદેશ પ્રમુખ બનાવાયા છે. છ ઝોનના વર્કીંગ પ્રેસીડેન્ટની જગ્યા ઉભી કરાઈ છે જેમાં સુરત ઝોનમાં અલ્પેશ કથીરીયા, દક્ષિણ-ગુજરાત ઝોનમાં ચૈતર વસાવા, ઉતર ગુજરાત ઝોનમાં ડો. રમેશ પટેલ, સૌરાષ્ટ્ર ઝોનમાં જગમલ વાળા, સેન્ટ્રલ ગુજરાત ઝોનમાં જેવેલ વસાવડા અને કચ્છ ઝોનમાં કૈલાસ ગઢવીને કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપાઈ છે.