Bhavnagar
ભાવનગર ડમીકાંડમાં વધુ 4 આરોપી ઝડપાયા ; આરોપીનો કુલ આંક 52 થયો
![4 more accused arrested in Bhavnagar dummy incident; The total number of accused became 52](https://shankhnadnews.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-27-at-9.40.56-AM.jpeg)
બરફવાળા
ભાવનગરમાં ચાલી રહેલી ડમીકાંડમાં રોજ નવા નવા આરોપીના નામ ખુલી રહ્યા છે. ત્યારે ભાવનગર પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ગતરોજ ભાવનગર પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી જેમાં એક આરોપી સંજય ગોવિંદભાઈ સોલંકી સરકારી નોકરીયાત છે અને અન્ય એક આરોપી ચંદ્રદિપ ભરતભાઈ ચૌહાણ ભાજપ નેતાનો પુત્ર છે. ગતરોજ ઝડપાયેલા ચાર આરોપીઓની આજરોજ કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કરતા હાલ તેઓ રિમાન્ડ હેઠળ છે. જ્યારે તોડકાંડના આરોપી યુવરાજસિંહના સાળા શિવુભાના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ભાવનગર પોલીસે ડમીકાંડ મામલે ભરતનગર પોલીસ સ્ટેશનમાં 36 આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પરંતુ તપાસમાં આગળ નવા-નવા નામ ખુલતા આરોપીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે ગતરોજ ભાવનગર પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી અને આજરોજ તારીખ 26 એપ્રિલે વધુ ચાર આરોપીઓની ડમીકાંડ મામલે ધરપકડ થઈ છે. ભાવનગર એસ.ઓ.જી. દ્વારા આજરોજ આરોપી મહેશ રામજીભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 27, વિજયભાઈ ધુડાભાઈ જાંબુચા ઉંમર વર્ષ 25, રીયાજભાઈ કાદરભાઈ કાલાવડીયા ઉંમર વર્ષ 33 અને પ્રતિપાલસિંહ જયુભા ગાહિલ ઉંમર વર્ષ 30ની ધરપકડ કરવામાં આવી છે.
હાલ ઝડપાયેલા આરોપીઓની પુછપરછ કરી રહી છે આવતીકાલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરશે. ડમીકાંડમાં થયેલા તોડકાંડ મામલે પણ ભાવનગર એસ.ઓ.જી. તપાસ કરી રહી છે. જેમાં યુવરાજસિંહ જાડેજા, કાનભા ગોહિલ, શિવુભા ગોહિલ અને બિપીન ત્રિવેદી તેમજ ઘનશ્યામા લાધવાની ધરપકડ કરી છે. ઉપરાંત યુવરાજસિંહના સાળા કાનભા અને શિવુભા પાસેથી પોલીસે ક્રમશઃ રૂપિયા 38 લાખ અને 25.50 લાખ કબ્જે કર્યા છે. સાથે જ પોલીસને શિવુભાની ઝડપાયેલી રકમના બેગમાંથી એક હાર્ડડિસ્ક પણ મળી આવી હતી. જે હાર્ડડિસ્ક પણ પોલીસે ફોરેન્સીક તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. હવે જોવું રહ્યું કે આ ડમીકાંડ અને તોડકાંડનો રેલો ક્યાં જઈ અટકે છે.