Bhavnagar
ભાવનગરમાં 881 કરોડના જીએસટી કૌભાંડમાં વધુ 3 શખ્સની ધરપકડ

દેવરાજ
- સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે સાંઢિયાવાડ, વડવા અને કુંભારવાડાના શખ્સોને ઉઠાવી લીધા, ત્રણેય શખ્સ જેલહવાલે, અગાઉ 14 કૌભાંડી સામે 8251 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી
ભાવનગરના ૮૮૧ કરોડથી વધુના જીએસટી કૌભાંડમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે સાંઢિયાવાડ, વડવા અને કુંભારવાડાના શખ્સોને ઉઠાવી લઈ કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલહવાલે કરી દીધા છે. ભાવનગરમાં ગરીબ અને અભણ લોકોના આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના દસ્તાવેજો ઉપર બોગસ પેઢી અસ્તિત્વમાં લાવી બોગસ બિલીંગનો ગોરખ ધંધો કરી સરકારને કરોડો રૂપિયાનો ચુનો ચોપડવામાં આવી રહ્યાનો ઘટસ્ફોટ થતાં આ મામલે નિલમબાગ પોલીસમાં આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪ મુજબ ગુનો દાખલ કરાવી જીએસટી કૌભાંડની તપાસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને સોંપવામાં આવી હતી.
એસઆઈટીએ તપાસનો ધમધમાટ આદરતા ભાવનગરમાં ૪૩૬ બોગસ પેઢી પૈકી ૧૨૫ પેઢીમાં ૮,૮૧,૯૨,૫૩,૨૬૬ રૂપિયાનું કૌભાંડ કરી ૧,૨૩,૩૫,૩૩,૨૯૩ની કરચોરી થયાનું બહાર આવ્યું હતું. જેને લઈ એસઆઈટીએ તપાસનો દૌર લંબાવતા આ ચકચારી કૌભાંડમાં સાંઢિયાવાડ, કુંભારવાડા અને વડવાના વધુ ત્રણ શખ્સની સંડોવણી સામે આવતા સૈયદબીન ઉર્ફે જાવેદ કાદરભાઈ ઈમાની (ઉ.વ.૩૦, રહે, ઈમાની મંજીલ, માવતવાળો ખાંચો, સાંઢિયાવાડ, ઈમાની મંજીલ), મુનાફ ઉર્ફે જાદુગર અનવરભાઈ બેલીમ (રહે, પીપરવાળો ચોક, નારી રોડ, કુંભારવાડા) અને હુસેન ઉર્ફે બાદશાહ ઈસ્માઈલભાઈ કટારિયા (રહે, જાલમસિંહનો ખાંચો, વડવા નેરા) નામના ત્રણ શખ્સની ધરપકડ કરી જેલહવાલે કરી દેવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે, બોગસ બિલીંગથી કરોડો રૂપિયાની કરચોરી કરવામાં રાજ્યનું એપી સેન્ટર બની ચુકેલા ભાવનગરમાંથી ૮૮૧ કરોડની જીએસટી કૌભાંડ બહાર આવતા એસઆઈટીએ જે-તે સમયે ૧૪ શખ્સની ધરપકડ કરી તમામ વિરૂધ્ધ ૮૨૫૧ પાનાની ચાર્જશીટ દાખલ કરાવી હતી. વધુમાં બોગસ પેઢીઓ બનાવી જીએસટીના બોગસ બિંલીગના કૌભાંડમાં ભાવનગર ઉપરાંત અમરેલી સાઈબર ક્રાઈમ પોલીસમાં એક અને પાલિતાણા ટાઉન પોલીસમાં બે ગુના દાખલ થયેલા છે.