Bhavnagar
ઉત્તરાખંડ બસ દુર્ઘટના : બસમાં ભાવનગર જિલ્લાના યાત્રાળુ હતા, ડ્રાઈવરની ભૂલના કારણે કાળ ભરખ્યો!

દુર્ઘટનામાં 7 ના મોત, બસમાં ભાવનગરના 31 મુસાફરો સવાર હતા, ભાવનગરની શ્રી ટ્રાવેલ્સની બસ ત્યાં ગઈ હતી, બસમાં ભાવનગરના 8 યાત્રી, તળાજા-ત્રાપજ-કઠવાના 16 યાત્રી અને મહુવાના 2 યાત્રી હોવાની પ્રાથમિક જાણકારી, ઉત્તરાખંડ SDRFએ 27 લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા
ઉત્તરાખંડનાં ગંગોત્રી હાઈવે પર ભાવનગરના યાત્રિકોનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ જ્યારે ગંગનાની નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમ્યાન અચાનક ખીણમાં ખાબકતા 7 લોકોના ઘટનાં સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 19 મુસાફરોને બચાવી લેવાયા છે. આ બસમાં 35 લોકો સવાર હતા જેમાં 27 લોકોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક મુસાફર ગુમ છે. ગંગોત્રી નેશનલ હાઈવે પર નડેલા બસ અકસ્માતમાં સવાર 31 યાત્રાળુઓ ભાવનગરના છે.
જ્યારે બસમાં સવાર 3 યત્રાળુઓ સુરતના હતા. આ તમામ યાત્રાળુઓ 15 ઓગસ્ટે ભાવનગરથી યાત્રાએ નીકળ્યા હતા. 16 ઓગસ્ટે દિલ્લીથી યાત્રાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આજે ગંગોત્રી નેશનલ હાઈવે પર બપોરે 3 વાગ્યાની આસપાસ ડ્રાઈવરની ભૂલના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત ઉત્તરાખંડ SDRFએ 27 લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા છે. તેમજ વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. ઉત્તરકાશીના ડીએમ અને એસપીએ માહિતી આપી હતી કે બસ નંબર UK07PA-8585 100 મીટર ઊંડી ખીણમાં પડી હતી. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.