Sihor
વિનયન પ્રવાહમાં વિષય રાખ્યા વગર અંગ્રેજી વિશ્વ સાહિત્યના અનુવાદ શ્રી મૂ.મો.ભટ્ટે વિદ્યાર્થીઓના વિચાર ઘડતર માટે જ કર્યા
![Mr. M. M. Bhatt translated the English world literature without keeping the subject in the Vinaya stream just for the students' thinking.](https://shankhnadnews.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-12-at-06.53.35.jpg)
Pvar
લોકભારતી સણોસરામાં યોજાયેલ વ્યાખ્યાનની વિદ્યાર્થીઓ દ્વારા થઈ અનોખી વિશિષ્ટ પ્રસ્તુતિ
સિહોર તાલુકાના લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વાચન સાથે અનોખી રીતે શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા યોજાઈ ગઈ. અહીંયા વિનયન પ્રવાહમાં વિષય રાખ્યા વગર અંગ્રેજી વિશ્વ સાહિત્યના અનુવાદ શ્રી મૂ.મો.ભટ્ટે વિદ્યાર્થીઓના વિચાર ઘડતર માટે જ કર્યા તેવી પ્રેરક વાત થઈ. કેળવણીકાર, લેખક, અનુવાદક, સંગીતજ્ઞ, ગાંધીવિચાર મર્મજ્ઞ અને વત્સલ ગૃહપતિ રહેલાં શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળામાં વિદ્યાર્થીઓ દ્વારા તેઓના અનુવાદ સાહિત્યનાં વાચન રસાસ્વાદ સાથે અનોખી રીતે વિશિષ્ટ પ્રસ્તુતિ થઈ, જે વિદ્યાર્થીઓના દશ્ય શ્રાવ્ય ચિત્રપટ ઉદ્બોધનો રહ્યા હતા. સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવેએ આ પ્રસંગે પોતાનો રાજીપો વ્યક્ત કરી કહ્યું કે, અન્ય પ્રતિભા કે વ્યાખ્યાનકારોને બદલે જેની સ્મરણ વંદના કરીયે તેનું જ સાહિત્ય આત્મસાત કરીને વ્યાખ્યાન ઉપક્રમ વધુ સાર્થક બન્યો છે.
તેઓએ લોકભારતીના તમામ પૂર્વસુરીઓના સ્મરણ સાથે ચોપડી મિત્ર કે માર્ગદર્શક બની શકે છે તેમ જણાવી આ પુસ્તક સાહિત્ય બૌદ્ધિક, સંવેદના તેમજ સંસ્કાર માટે અપેક્ષિત ગણાવેલ.આ પ્રસંગે સમાપન ઉદ્બોધનમાં શ્રી વિક્રમભાઈ ભટ્ટે તેમના પિતા શ્રી દ્વારા થયેલ આ પ્રવૃત્તિ સાધનામાં વિદ્યાર્થીઓ જ કેન્દ્ર સ્થાને રહ્યાનું કહ્યું. વિનયન પ્રવાહમાં વિષય રાખ્યા વગર અંગ્રેજી વિશ્વ સાહિત્યના અનુવાદ શ્રી મૂ.મો.ભટ્ટે વિદ્યાર્થીઓના વિચાર ઘડતર માટે જ કર્યા તેવી પ્રેરક વાત તેઓ દ્વારા થઈ. શિક્ષણની નવી દિશાઓ માટે પ્રેરક વાતો કરનાર વક્તા અને લોકભારતી વિશ્વવિદ્યાલયના અગ્રણી શ્રી વિશાલ ભાદાણીએ શ્રી મૂ.મો.ભટ્ટ સંદર્ભે પ્રાસ્તાવિક પ્રાસંગિક વાતો કરી. કાર્યક્રમ પ્રારંભે શ્રી વિશાલ જોષી દ્વારા આવકાર તેમજ વ્યાખ્યાન ભૂમિકાનો ચિતાર આપ્યો. પ્રારંભે સંગીતવૃંદ દ્વારા ગીતગાન રજૂ થયેલ. સમાપનમાં ભજનગાન શ્રી દર્શનાબેન ભટ્ટ દ્વારા પ્રસ્તુત થયું. વર્તમાન સંદેશા વ્યવહાર અને સંપર્ક માધ્યમો સામે ટકોર સાથે આ ઉપકરણનું અનોખું સંચાલન વિદ્યાર્થીનીઓ કુમારી પ્રાર્થના પંડ્યા તથા કુમારી અંજલિ પરમાર દ્વારા અસરકારક રહ્યું. અહી વિજાણું ચિત્રપટ સંકલન શ્રી સાવન અઘેરા, શ્રી સાગર ડાભી તથા શ્રી દિવ્યેશ પરમાર દ્વારા કરાયું હતું.