Sihor
વીરપ્રભુના જન્મ વધામણામાં ભાવિકો ભકિતમાં ઓતપ્રોત : ભવ્ય રથયાત્રામાં શ્રધ્ધાનો સૂર ગુંજયો

પવાર
પ્રભુ મહાવિરના જન્મકલ્યાણકે જૈનમ દ્વારા ધર્મયાત્રા : સિહોરના જૈનો ભાવવિભોર ; શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક દિન : ‘ત્રિશલાનંદન વીર કી,જય બોલો મહાવીર કી’નો ગગનભેદી નાદ ગુંજી ઉઠયો.. સિહોરના રાજમાર્ગો પરથી નીકળેલી રથયાત્રામાં સમસ્ત જૈન સમાજ જોડાયો
ત્રિશલાનંદન વીર કી, જય બોલો મહાવીર કી’ના ગગનભેદી નાદ સાથે આજે સવારે સિહોર સહિત સૌરાષ્ટ્રના શહેરો અને ગામોમાં વીરપ્રભુના જન્મ વધામણા સાથે રથયાત્રા નીકળી હતી. આજે જિનાલયોમાં પરમાત્માની ભવ્યાતિત આંગી રચવામાં આવી છે. જિનાલયોને સુશોભન અને રોશનીના શણગાર કરાયા છે. સમસ્ત જૈન સમાજ દ્વારા વીરપ્રભુના જન્મ વધામણા હૈયાના હેતથી કરાયા હતા. આજે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઉજવણી અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી રહી છે.
જૈનમ્ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિને ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા ‘ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી’ના ગગન ભેદી નાદ સાથે યોજાઇ હતી. સવારે ૮ કલાકે દેરાસરજીથી પૂ.સાધુ-સાધ્વીજીઓની નિશ્રામાં શાસન ધ્વજ ફરકાવી ધર્મયાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું. ધર્મયાત્રામાં સિહોરમાં બિરાજમાન પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં આકર્ષક ફલોટ્સ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા. આ ધર્મયાત્રામાં પ્રભુવીરના જીવનદર્શનને લગતા ફલોટસ, જૈન સમાજ દ્વારા થતી ધાર્મિક-સામાજિક પ્રવૃતિઓના ફલોટસ, જીવદયાના ફલોટસ સામેલ થયેલ.
ઉપરાંત ધર્મયાત્રાનાં રૂટ ઉપર આકર્ષક અને મનમોહક રંગોળી, ભગવાનનો રથ, ધર્મધજા, સુશોભીત કરેલ કાર-બાઈક-સાઈકલ સવારો, કળશધારી બાળાઓ, બેડાધારી બહેનો, બાળકોની વેશભુષા, રાસની રમઝટ બોલાવતી રાસ મંડળી, ઢોલની સાથે સાથે મ્યુઝીકલ બેન્ડ સુરાવલી રેલાવતા તેમજ રાષ્ટ્રભાવના ઉજાગર કરતા જૈન શાસનને વરેલા બાળકો સાથે ભવ્ય ધર્મયાત્રા નિકળી હતી.