Astrology
ભકિતભાવ સાથે પુરૂષોતમ મહિનાનો પ્રારંભ : ભાવિકો દ્વારા પૂજન-અર્ચન
દેવરાજ
એક મહિના સુધી નાના-મોટા મંદિરોમાં ધાર્મિક સંસ્થાઓ અને ભાવિકો દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમો
આજથી પવિત્ર પુરૂષોતમ માસનો પ્રારંભ થયો છે. ભાવિકો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવી રહ્યા છે.
આજે તા. ૧૮ જુલાઇને અધિક શ્રાવણ સુદ એકમને મંગળવારના દિવસે પવિત્ર પુરૂષોતમ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. અને સાથે સાથે મંગળવારે આખો દિવસ રાત્રીના પુષ્યનક્ષત્ર છે. ૧૯ વર્ષ બદા શ્રાવણમાં અધિક માસનો સંયોગ થયો છે. આજથી પવિત્ર પુરુષોતમ માસ શરૂ થતો હોવાથી શહેરના નાના-મોટા મંદિરો અને ધાર્મિક સંસ્થાઓમાં જાણે ભકિતની લહેર ફરી વળશે. કથા, ભાગવત કથા, પુજાપાઠ, જપ તપ, દાન ભકિત-કીર્તન સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આમ પુરૂષોતમ માસના પહેલા દિવસથી જ પુષ્ય નક્ષત્ર હોવાથી આ વર્ષેપુરૂષોતમ માસ ઉત્તમ ફળ આપનાર બનશે. પુરૂષોતમ માસની શરુઆત ૧૮ જુલાઇને મંગળવારથી થાય છે અને પૂર્ણાહૂતિ ૧૬ ઓગસ્ટને બુધવારે થશે.
પવિત્ર પુરષોતમ માસનો પ્રારંભ : આખો મહીનો ગોરમાંનું પુજન-સત્સંગ
આ વર્ષે અધિક શ્રાવણ માસ છે. એટલે એક શ્રાવણ માસને પવિત્ર પરસોતમ માસ તરીકે મનાવવામાં આવશે. આજથી ગોરમાના પૂજન સાથે ઠેરઠેર સત્સંગ કાર્યક્રમોનો મહીલાઓ દ્વારા પ્રારંભ કરાયો છે. શેરીએ ગલીએ ‘આંબુડુ જાંબુડુ કેરીને કોઠીંબડુ..’ ના સ્વર ગુંજતા સાંભળવા મળશે. મંદિરો અને વિવિધ ચોગાનોમાં મહિલાઓ દ્વારા ગોરમાનું પૂજન થશે. પૂર્ણ પુરૂષોતમ ભગવાનને ભાવથી ભજવામાં આવશે. કયાંક અનાજ અને ડાયફ્રુટની મદદથી મંડળની રચના કરી દર્શન ખુલ્લા મુકાશે. આખો માસ વ્રત-જપ-તપ અને ઉપવાસ એકટાણાનો મહીમા રહેશે.