Astrology
પુરુષોત્તમ માસનો પ્રારંભ : ધર્મ આરાધનાનો શ્રેષ્ઠ અવસર

દેવરાજ
પુરુષોતમ મહિના દરમ્યાન ભગવાન વિષ્ણુ પોતે સ્વયં પૃથ્વી ઉપર નિવાસ કરે છે, પુરુષોતમ માસ દરમ્યાન ભોજનમાં શું લઈ શકાય ; પૂજન કઈ રીતે કરવું, કયા મંત્રોની ઉપાસના કરવી?
પુરુષોતમ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ધર્મ આરાધનાનો શ્રેષ્ઠ મહિનો ગણાય છે. દરેક ગુજરાતી મહિના દરમ્યાન સૂર્ય રાશિ પરિવર્તન કરે છે. પરંતુ પુરુષોતમ મહિના દરમ્યાન સૂર્ય રાશિ પરિવર્તન કરતો નથી. દરેક વાર, તિથિ અને મહિનાને પોતાના સ્વામી છે. પરંતુ પુરુષોતમ માસને તેન સ્વામી ન હતા. આથી ભગવાન વિષ્ણુ સ્વયં પોતે પુરુષોતમ માસના સ્વામી બને છે અને પોતાનું નામ આપે છે, આથી જ અધિક માસને પુરુષોતમ માસ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે આ મહિના દરમ્યાન જે લોકો પૂજા પાઠ, જાપ, ભકિત, દાન કરશે તેને તુરત ફળની પ્રાપ્તિ થશે. એમ કહેવાય છે કે પુરુષોતમ મહિના દરમ્યાન ભગવાન વિષ્ણુ પોતે સ્વયં પૃથ્વી ઉપર નિવાસ કરે છે.
પુરુષોતમ મહિનાના નિયમો
ખાસ કરીને આખા દરમ્યાન ફળ, દૂધ ખાઈ અને ઉપવાસ કરવો જોઈએ. પરંતુ તે ન થઈ શકે તો એકટાણું કરવું જોઈએ. એકટાણામાં સાંજના સમયે ભોજન કરવું. બપોરના નહિ. એકટાણાં દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરવું લસણ ડુંગળીનો ત્યાગ કરવો. સવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવાની સીંગ તે ઉપરાંત અડદ, રાઈ, તલનું તેલ, ભાતનું ઓસામણ, મધનું સેવન કરવું નહિ.
ભોજનમાં શું લઈ શકાય
ભોજનમાં ઘઉં, ચોખા, મગ, જવ, તલ, વટાણા, ડાંગ, સામો, શાક, આદુ કાકડી, કેળા બની શકે તો સિંધાલુલા-મીઠાનો ઉપયોગ કરવો. ગાયનું ઘી, દૂધ, દહીં, ફણસ, કેરી, હરડે, જીરૂ, સુંઠ, આંબલી, સોપારી, આમળા વગેરે લઈ શકાય.
પૂજન
વ્રતના પહેલા દિવસે સવારના વહેલા ઉઠી અને નિત્યકર્મ કરીને એક બાજોઠ ઉપર ચોખાની ઢગલી કરી તેના ઉપર વિષ્ણુ ભગવાન અથવા રાધા-કૃષ્ણની છબી પધરાવવી, બાજુમાં દીવો-અમરબતી કરવા, ભગવાનને ચંદનનો ચાંદલો-ચોખા કરી અને પોતે પણ કરવા, ભગવાનને ફુલ અર્પણ કરવા, અબીલ, ગુલાલ, કંકુ પધરાવ્યા બાદ અગરબતીનો ધૂપ કરવો, નૈવેદમાં ફળ ધરાવવા, આરતી કરી, ક્ષમા યાચના કરવી વૈષ્ણવ સહસ્ત્ર નામ બોલવા અથવા શ્રી કૃષ્ણ શરણં મમની એક ત્રણ અથવા પાંચ માળા કરવી. દરરોજ પિપળાનું પૂજન કરીને પ્રદક્ષિણા ફરવી, દરરોજ ગોરમાનું પૂજન, પુરુષોતમ માસની કથા સાંભળવી.