Bhavnagar
ભાવનગર ; તોતીંગ ભાવવધારા સામે કેબલ ટીવી પ્રસારણ ઠપ્પ : લાખો ગ્રાહકોમાં દેકારો

કુવાડિયા
બ્રોડકાસ્ટરોએ 30થી40 ટકાનો વધારો ઝીંકતા કેબલ ઓપરેટર કંપનીઓએ દેશભરમાં પ્રસારણ બંધ કરી દીધુ, ડેન, જીટીપીએલ, ઈનકેબલ, હેથવે સહિતની કંપનીઓની સંયુક્ત લડત : તમામ ‘પે ચેનલો’ બંધ, માત્ર ફ્રી ટુ એર ચેનલો ચાલુ ; વિકએન્ડમાં જ સિરીયલ-ફિલ્મો-ક્રિકેટ મેચ રસિયાઓમાં કચવાટ : રૂા.300ના કેબલ પેકેજ 400થી વધુના થવાનો દાવો
કેબલ ટીવી પ્રસારણમાં મોટા ભાવવધારાને પગલે ભાવનગર સહિત દેશભરમાં કેબલ નેટવર્કમાં પે-ચેનલોનું પ્રસારણ બંધ થઈ ગયુ છે. ડેન, હેથવે, જીટીપીએલ સહિતની કેબલ ઓપરેટર કંપનીઓએ બ્રોડકાસ્ટરોના ભાવવધારા સામે આક્રમક વલણ અપનાવતા લાખો ઘરોમાં પે-ચેનલોનું પ્રસારણ થંભી ગયુ છે અને ગ્રાહકોમાં જબરો દેકારો છે. કેબલ ઓપરેટરોના સૂત્રોએ જણાવ્યું છે કે, બ્રોડકાસ્ટરો દ્વારા સરેરાશ 40 ટકાનો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે તેના પગલે ડેન, ઈનકેબલ, જીટીપીએલ, હેથવે સહિતની કેબલ ઓપરેટર કંપનીઓએ સંગઠિત થઈને સમગ્ર દેશમાં કેબલ પ્રસારણ થંભાવી દીધું છે. ફ્રી-ટુ-એર ચેનલોનું પ્રસારણ યથાવત છે પરંતુ ઝી, સોની, સ્ટાર સહિતની બ્રોડકાસ્ટ કંપનીઓની પે-ચેનલોનું પ્રસારણ બંધ કરી દેવામાં આવ્યું છે. સૂત્રોએ કહ્યું કે, બ્રોડકાસ્ટરોએ તમામ નાના-મોટા પેકેજમાં ભાવવધારો ઝીંકયો છે તેને પગલે ગ્રાહકોનું કેબલ બીલ 50 ટકા વધી શકે તેમ છે. ગ્રાહકો પર તોતીંગ બોજ રોકવા માટે કેબલ કંપનીઓએ જ પ્રસારણ અટકાવી દીધુ છે. માત્ર રાજકોટમાં જ નહીં. દેશભરની તમામ કેબલ કંપનીઓએ સંગઠીત રણનીતિ ઘડીને પે-ચેનલોનું પ્રસારણ રોકી દીધુ છે.
બ્રોડકાસ્ટર કંપનીઓએ ઝીંકેલો ભાવવધારો સ્વીકારવામાં આવે તો ગ્રાહકોનું રૂા.300નુ પેકેજ 400 કે તેથી વધુનુ થઈ જાય તેમ છે. ભાવનગર જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી લાખો કેબલ જોડાણો છે અને તે તમામમાં પ્રસારણ ઠપ્પ થઈ ગયું છે. ભાવવધારાથી અજાણ ગ્રાહકોમાં દેકારો બોલી ગયો છે. ખાસ કરીને વીકએન્ડમાં જ કેબલ પ્રસારણ ઠપ્પ થઈ જતા કચવાટ પ્રવર્તવા લાગ્યો છે. અત્યારે ભારત-ઓસ્ટ્રેલિયાનો મેચ પણ ચાલી રહ્યો હોવાથી ક્રિકેટ રસીયાઓમાં પણ ખચકાટ ઉભો થયો છે. આ મામલે કોઈ સમાધાન ન થાય ત્યાં સુધી કેબલ પ્રસારણ ઠપ્પ જ રહેવાના સંકેત છે. કેબલ ઓપરેટરોએ એવો નિર્દેશ કર્યો હતો કે કેબલ ગ્રાહકો પર એ વધુ બોજ લાદી શકાય તેમ નથી. આવશ્યક ચીજોથી માંડીને વિજળી જેવી અનેક સેવાઓમાં ભાવવધારા સામે સામાન્યવર્ગ પીસાઈ રહ્યો છે અને વધુ ડામ સહન કરી શકે તેમ નથી. બ્રોડકાસ્ટર કંપનીઓએ સીન્ડીકેટ રચી હોય તેમ તમામે તમામ ભાવવધારો કર્યો છે અને ઓપરેટરોએ પણ સંગઠીત થઈને વિરોધ કર્યો છે. કેબલ પ્રસારણ બંધ થવાને પગલે સીરીયલ, સ્પોર્ટસ તથા ફિલ્મો જેવા મનપસંદ કાર્યક્રમો જોવા માંગતા લોકો અકળાઈ ઉઠયા હતા. તેઓએ કહ્યું કે ટ્રાઈ દ્વારા જ બ્રોડકાસ્ટર કંપનીઓને ભાવવધારાની છુટ્ટ આપતા તેઓએ બોજ નાખ્યો છે.