Bhavnagar
લોકભારતીના મૂળ સંકલ્પમાં ગામડું છે, તે ઉદ્દેશ માટે શોધકર્તાઓ પૂરક બને – શ્રી અરુણભાઈ દવે
![The basic concept of Lok Bharati is the village, for that objective the inventors complement - Shri Arunbhai Dave](https://shankhnadnews.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-05-at-8.46.04-AM.jpeg)
કુવાડિયા
- સિહોર નજીક આવેલ લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરા ખાતે શોધકર્તાઓ માટે પ્રથમ કાર્યશાળાનો પ્રારંભ
ભાવનગર જિલ્લાના ગૌરવરૂપ સિહોર નજીક આવેલ લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરા ખાતે શોધકર્તાઓ માટે પ્રથમ કાર્યશાળાનો પ્રારંભ થતાં સંસ્થાના મોભી લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેએ લોકભારતીના મૂળ સંકલ્પમાં ગામડું છે, તે ઉદ્દેશ માટે શોધકર્તાઓ પૂરક બને તેમ અનુરોધ કર્યો હતો. સરકાર દ્વારા શિક્ષણ સંશોધન હેતુ સણોસરા સ્થિત લોકભારતી સંસ્થાને વધુ ખાનગી વિશ્વવિદ્યાલય માન્યતા મળતા ગણતરીના મહિનાઓમાં જ શૈક્ષણિક પ્રવૃત્તિઓનો ઘમઘમાટ શરૂ થઈ ગયો છે, જેમાં ટૂંકા ગાળામાં જ અભ્યાસક્રમો સાથે શોધકર્તાઓ (પી.એચ.ડી.) માટે પણ કામગીરી શરૂ થઈ ગઈ, જે સંદર્ભે પ્રથમ કાર્યશાળાનો પ્રારંભ થયો હતો. લોકભારતી યુનિવર્સિટીના કુલપતિ અને જાણિતા શિક્ષણવિદ્ શ્રી ભદ્રાયુ વછરાજાનીએ અહી અન્ય ખાનગી સંસ્થાઓના અપવાદરૂપ કિસ્સામાં સંશોધન અભ્યાસ પ્રવૃત્તિ સહેલી નહિ પરંતુ મક્કમતા સાથે અને માનવીય અભિગમ સાથે રહેશે જેનો ખ્યાલ રાખવા પર ભાર મૂક્યો હતો. તેઓએ અહીંની વિશાળ માળખાકીય પૂરક સુવિધાનો લાભ લેવા આગ્રહ વ્યક્ત કર્યો હતો.
લોકભારતી ગ્રામવિદ્યાપીઠનાશ્રી રામચંદ્રભાઈ પંચોળી, નિયામકશ્રી હસમુખભાઈ દેવમુરારી વગેરેની પ્રેરક ઉપસ્થિતિ સાથે આ કાર્યશાળા પ્રારંભે શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલયના શ્રી દિલીપ બારડ દ્વારા પ્રથમ માર્ગદર્શન વક્તવ્ય યોજાયું જેમાં તેઓએ સંશોધન (પી.એચ. ડી.) માટે રચનાત્મક કરતા વૈજ્ઞાનિક પદ્ધતિ અનિવાર્ય ગણાવી તેઓએ અન્ય શોધસંદર્ભોમાંથી નકલ નહિ પરંતુ પૂરક અને નવીન ઉમેરણ કરવા જણાવ્યું હતું. લોકભારતી વિશ્વવિદ્યાલયના શ્રી વિશાલ ભાદાણી સાથે અહી કાર્યશાળામાં જોડાયેલા શોધકર્તા અભ્યાસુઓએ પોતાના લક્ષ્ય અને સફળતા માટે સુંદર પ્રશ્નોત્તરીનો લાભ લીધો હતો. કાર્યશાળામાં શિક્ષણ સંશોધન સાથે જોડાયેલા નિષ્ણાતો શ્રી મહેન્દ્ર ચોટલિયા, શ્રી ભૌતિક લીંબાણી વગેરેનું માર્ગદર્શન મળ્યું છે.