Surat
સમ્મેતજી શિખર અને પાલીતાણાને તીર્થ સ્થાન જાહેર કરવાના નાદ સાથે 40 હજાર જૈનોની સુરતમાં મહારેલી
![maharalli-of-40-thousand-jains-in-surat-with-the-slogan-of-declaring-sammetji-peak-and-palitana-as-pilgrimage-sites](https://shankhnadnews.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-03-at-9.49.21-PM.jpeg)
મિલન કુવાડિયા
ઝારખંડનું સમ્મેત શિખરજી જૈનો માટે આસ્થાનું કેન્દ્ર છે અને જૈનો તેને તીર્થસ્થળ માને છે ત્યારે સરકાર દ્વારા સમ્મેત શિખરજી પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત થતાની સાથે જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેને લઈને આજે શહેરમાં 3 કિમીની મહારેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકાર તાત્કાલિક અસરથી આ બંનેને તીર્થસ્થાન જાહેર કરે અને પાલિતાણા સહિતનાં તીર્થસ્થાનો ઉપર માંસ અને મદીરાનું વેચાણ પણ બંધ કરાવે એવી માંગણી સાથે 40 હજાર થી વધુ લોકો રેલીમાં જોડાયા હતા. જૈનોની પાવનભૂમિને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતાંની સાથે જ જૈનોની લાગણી દુભાઈ હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઈને શહેરભરના અને અન્ય રાજ્યોના પણ જે જૈન સમાજના સભ્યોએ સુરતમાં પાર્લે પોઇન્ટ સરગમ શોપિંગ સેન્ટરથી કલેકટર કચેરી સુધી મહારેલી યોજી હતી. આ અંગે જૈન અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમારાં તીર્થસ્થાનો પર જાણે અસામાજિક તત્ત્વો આક્રમણ કરતાં હોય એવો ભાવ થઈ રહ્યો છે. અમારી લાગણી અને માંગણી છે કે સરકાર આ બંને સ્થળને તીર્થસ્થાન તરીકે જાહેર કરે.
આ કોઈ પર્યટન સ્થળ નહીં પરંતુ તીર્થસ્થાન છે. તેને આસ્થાનું કેન્દ્ર રહેવા દેવું જોઈએ એવી લાગણી જૈનોની છે. આ અંગે જૈન આચાર્ય સાગરચંદ્ર સાગરસૂરી મહારાજે કહ્યું કે, સમ્મેત શિખર આદીકાળથી અમારું તીર્થસ્થાન રહ્યું છે. મુઘલોએ અને અંગ્રેજોએ પણ સ્વીકાર્યું હતું કે આ જૈનોનું તીર્થસ્થાન છે. અમારા તીર્થસ્થાનો ઉપર અસામાજિકતત્વો દ્વારા જે કૃત્ય કરવામાં આવી રહ્યા છે તેને અમે વખોડી રહ્યા છે. ઝારખંડ સરકારે તીર્થસ્થાનને પર્યટન સ્થળ તરીકે જાહેર કરાતા અમે તેનો વિરોધ કરીએ છીએ. પર્યટન સ્થળ તરીકે જાહેર થતાની સાથે જ અહીંના વિસ્તારમાં વ્યસન વધી જશે જેનાથી તીર્થસ્થાનની પવિત્રતા નષ્ટ થશે. શેત્રુંજય જેવા તીર્થસ્થાનો પર અસામાજિક તત્વો જે પ્રકારે કૃત્યો કરી રહ્યા છે તેનાથી અમારી લાગણી દુભાઈ રહી છે. આ બાબતે અમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ વારંવાર રજૂઆત કરી છે. પર્યટન સ્થળને બદલે તીર્થસ્થાન જાહેર કરવા માટે અમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા પણ સમર્થન મળી રહ્યું છે. જૈન સમાજના ચાર ફીરકાઓ એ પણ એકસૂરે પર્યટન સ્થળની જાહેરાતનો વિરોધ કર્યો છે. રેલીમાં સુરતના જ નહીં પરંતુ અન્ય રાજ્યના અને શહેરોના લોકો પણ અમારી સાથે સમર્થનમાં આ રેલીમાં જોડાઈ ગયા છે.