Gujarat
કાશ્મીરની જેમ ગુજરાતમાં પણ સીમકાર્ડ વેચનારા માટે પોલીસ વેરીફીકેશન ફરજીયાત થશે
![Like Kashmir, police verification will be mandatory for SIM card sellers in Gujarat too](https://shankhnadnews.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-18-at-10.09.24-AM-2.jpeg)
બરફવાળા
ગુજરાતમાં 6.12 લાખ મોબાઈલ નંબર ડીએકટીવેટ કરાયા : મહિનાઓથી ઉપયોગમાં લેવાયા ન હોય અને એક જ વ્યક્તિના નામે 9 થી વધુ કનેકશન હોય તેવા નંબર રદ
સુરત તથા રાજકોટના જસદણમાંથી સનસનીખેજ સિમકાર્ડ રેકેટનો પર્દાફાશ થયા વચ્ચે ટેલીકોમ મંત્રાલય દ્વારા છેલ્લા છ મહિનામાં 6.12 લાખ મોબાઈલ કનેકશન ડી-એકટીવ કરી દેવામાં આવ્યા છે. આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્ટની મદદ લઈને મહિનાઓથી ઉપયોગમાં ન હોય તથા એક જ નામ પર 9થી વધુ મોબાઈલ નંબર હોય તેવા 6.12 લાખ કનેકશન રદ કરી દેવામાં આવ્યા હતા. ટેલીકોમ વિભાગના અધિકારીએ કહ્યું કે સિમકાર્ડ રેકેટ રોકવા માટે ત્રણ તબકકે આ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે સિમકાર્ડ વેચનારા નવા તથા જુના તમામ વેપારીઓ માટે પોલીસ વેરીફીકેશન ફરજીયાત બનાવતી નવી માર્ગદર્શિકા લાગુ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. શક્તિશાળી આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ મારફત ગુજરાતના 8.2 કરોડ મોબાઈલ નંબરોમાંથી ઉપયોગમાં ન હોય તેવા તથા એક જ નામે 9થી વધુ હોય તેવા નંબરોની ઓળખ મેળવવામાં આવી હતી.
23300 વ્યક્તિઓના નામે 9થી વધુ મોબાઈલ કનેકશન હોવાનું માલુમ પડયુ હતું. તેઓનું રી-વેરીફીકેશન કરવામાં આવ્યું હતું. એક સીનીયર અધિકારીએ કહ્યું કે કાશ્મીર તથા પુર્વોતર રાજયો જેવો નિયમ ગુજરાતમાં પણ લાગુ કરવાની તૈયારી છે જે અંતર્ગત સિમકાર્ડ વેચતા વેપારીઓનું પોલીસ વેરીફીકેશન ફરજીયાત કરાશે. ‘ટ્રાઈ’ના નિયમો સ્પષ્ટ છે કે 90 દિવસ સુધી ઉપયોગ ન થયેલા કે રીચાર્જ નહીં થયેલા મોબાઈલ નંબરનું ફરી વેરીફીકેશન કરાવવાનું થાય છે. ઘણા કિસ્સામાં જેના નામો કનેકશન હોય તેને પણ જાણ હોતી નથી. રીવેરીફીકેશનના આધારે સમસ્યા-રેકેટ મર્યાદીત કરી શકાય તેમ છે. આ ઉપરાંત ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડરો માટે નવો નિયમ ઘડાયો છે જે અંતર્ગત નવી નંબર સીરીઝની અરજી કરે તો અગાઉની સીરીઝના 70 ટકા નંબર એકટીવ હોવાનું પ્રમાણપત્ર આપવુ પડે છે. છેલ્લા કેટલાક વખતથી કંપનીઓ જ ઈનએકટીવ નંબરોને રદ કરવા લાગી છે.