Gujarat
આથમતા સૂરજે દેશભક્તિ પણ આથમી ન જાય જરાક જો જો

હર ઘર તિરંગા ને જોશે જોશે ઉજવાયું- તિરંગા નું માન જાળવાની જવાબદારી આપણી – ઘર, ઓફિસ, દુકાનો,બાઇક, કાર ઉપર લગાવેલ તિરંગા સાચવીને ઉતારી લેવા
૭૭માં સ્વાતંત્ર પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી. હર ઘર તિરંગા દ્વારા દેશના દરેક ઘરો ઓફિસો ઉપર તિરંગા લહેરાયા અને દેશભક્તિનો રંગ આભમાં લહેરાય ગયો. ૧૫ની ઓગષ્ટની સંધ્યા એ ઢળતા સૂરજ સાથે આપણી બધાની દેશભક્તિ પણ આથમી જાય છે જે ખરેખર આપણી કમનસીબી છે. પણ એક ભારતીય તરીકે દિલમાં હરહંમેશ તિરંગો લહેરાવો જ જોઈએ. તિરંગા નું જો માન આપણે જાળવી રાખવા માટે સક્ષમ હોય તો જ તિરંગો ઘર ફ્લેટ કે ઓફિસ ઉપર લગાવવો જોઈએ.
પછી એવું થાય કે ૧૫ ઓગષ્ટ જાય એટલે એ તિરંગો એમ નો એમ ઉપર રહે અને એ ફાટી જાય કે કોઈ ખૂણે થી નુકશાન થઈ જાય તો પણ તેની દરકાર રાખવામાં આવતી નથી. રસ્તાઓ ઉપર પણ નાના નાના બાઇક કે મોટર જેવા વાહનો ઉપર લગાવેલ તિરંગા પગમાં કે વાહનના ટાયર નીચે આવતા જોવા મળે અને એ જોઈને મનમાં થઈ આવે કે આ દેશભક્તિ નો ડોળ કરવા કરતાં આવી ઠગભક્તિ દેખાડવી જ ન જોઈએ. એટલે ખાસ દરેક નાગરિક ને વિનંતી કે પોતાના ઘર દુકાન કે ઓફિસ માં લગાવેલ તિરંગા ને નુકસાન ન થાય તે માટે જાળવી ને નીચે ઉતારી સાચવીને રાખી દેવા. તિરંગો કબાટ માં મૂકી ને દેશભક્તિ દિલમાં મૂકી દેવી. સાથે રસ્તા ઉપર નીકળીએ અને કઈ તિરંગો રોડ ઉપર જોવા મળે તો ફોટા પાડીને સોશ્યલ મીડીયા માં જાહેરાત કરવા કરતાં એને ત્યાંથી લઈ યોગ્ય જગ્યાએ તેનું માન સાથે વિસર્જન કરવામાં આવે તેવું કાર્ય કરી પોતાની દેશભક્તિ દાખવવી જેમાં ભારત માતા વધુ રાજી થશે. વાત કડવી લાગશે પણ કડવી દવા જ અસરકારક હોય છે એ તો સૌ જાણે છે.