Ghogha
ઘોઘા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના અનેક ગામોમાં અનોખી ઈયળોનો આતંક
![A unique caterpillar terror in several villages in the coastal area of Ghogha taluka](https://shankhnadnews.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-13-at-6.49.41-PM-1.jpeg)
કરોડો ની સંખ્યામાં ઈયળો આવી ચડતા લોકોમાં ભય ફેલાયો : આ ઈયળો કે તેની લાળ માનવ શરીર ને સ્પર્શ કરતા ખજવાળ-સોજા કે વ્યક્તિને હોસ્પીટલમાં દાખલ કરવા પડે છે, આ દરિયાકાંઠા વિસ્તારમાં અનેક પર્યટન સ્થળ અને ધાર્મિક સ્થળો આવેલા હોય લોકો અહી મોટી સંખ્યામાં આવે છે : તાકીદે આરોગ્ય વિભાગ આ અંગે કોઈ દવાનો છંટકાવ કરી ઈયળોના આતંક માંથી મુક્તિ અપાવે તે જરૂરી.
ઘોઘા તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી એક અનોખી ઈયળોનો આતંક જોવા મળી રહ્યો છે. આ વિસ્તારોમાં કરોડોની સંખ્યામાં એકાએક આટલી મોટી સંખ્યામાં ઈયળોના ઉપદ્રવ કે જેમાં ઈયળોની લાળ માનવ શરીરને સ્પર્શતા જ ખજવાળ-લાલ ચાંઠા-શરીરમાં સોજા અને અનેક લોકોને હોસ્પીટલમાં ખસેડવા પડે તેવી સ્થિતિ સર્જાતા આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. દરિયાકાંઠા વિસ્તારના પર્યટન અને ધાર્મિક સ્થળો તેમજ આવેલી શાળાઓમાં પણ આ ઈયળોનો આતંક ફેલાતા તાકીદે આ ઈયળોના ઉપદ્રવને ડામવા લોક માંગ ઉઠી છે.
ઘોઘા તાલુકાના દરિયાકાંઠાના ગામો જેમાં કુડા-કોળીયાક-હાથબ બંગલા વિસ્તારમાં છેલ્લા ચાર કે પાંચ દિવસમાં કરોડોની સંખ્યામાં એક એવી ઈયળો આવી ચડી છે જેનું પ્રજાજન પણ ઝડપી હોય તેની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દરવર્ષે ઈયળો આ વિસ્તારમાં આ ઋતુમાં આવે છે પરંતુ આટલી મોટી સંખ્યામાં પ્રથમવાર આવી હોય અને જે માનવને નુકશાનકર્તા સાબિત થતા આ અનોખી ઈયળો માનવ માટે મુશ્કેલી સર્જી રહી છે કારણ કે આ દરિયાકાંઠા વિસ્તારના ગામો કે જે પર્યટન સ્થળો કે ધાર્મિક સ્થળો છે મોટી સંખ્યામાં લોકો ફરવા કે દર્શનાર્થે આવતા હોય છે .તેમજ હાથબ બંગલા ખાતે મંગલ ભારતી શાળા આવેલી છે જ્યાં ૨૦૦ થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
અને આ ઈયળો આ વિસ્તારમાં ફેલાતા જો કોઈ વ્યક્તિ ઈયલના સીધા સંપર્કમાં આવે કે તેની લાળ ના સંમ્પર્કમાં આવે તો વ્યક્તિને ખજવાળ-લાલ ચાંઠા પડી જવા-શરીરે સોજા ચડી જવા કે કોઈને વધુ અસર થાય તો હોસ્પીટલમાં સારવારમાં ખસેડવા પડે તેવી સ્થિતિ સર્જાય છે. આ ઈયળોએ આ વિસ્તારના બાવળોમાં પોતાનો અડ્ડો જમાવ્યો છે અને તેની નીચેથી આરામ કરવો કે પસાર થવું જોખમી બની રહ્યું છે કારણ કે તેની લાળો સતત લટકી રહી છે અને જે સામાન્ય રીતે નજરે નથી પડતી ત્યારે આ ઈયળોના ઉપદ્રવથી છુટકારો મેળવવા આરોગ્ય વિભાગ અને અનેક વિસ્તાર વનવિભાગ હેઠળ હોય ત્યારે તેમાં જરૂરી દવાનો છંટકાવ કરી ઈયળોના આતંક માંથી મુક્તિ અપાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.