Bhavnagar
યહ આસમાન કા ઇશારા હૈ, કલ કા સૂરજ તુમ્હારા હૈ

કુવાડિયા
- કાલે ગુજરાતના જનાદેશના સૂર્યોદયથી દેશભરમાં ફેલાશે રાજકીય કિરણો
- લોકસભાની ચૂંટણી પૂર્વેનો મહત્વનો જનાદેશ : ભાજપ જીતે તો પુનરાવર્તન, કોંગ્રેસ સફળ થાય તો પરિવર્તન : આપને ચમત્કારની આશા
સમગ્ર દેશની મીટ અને વિશ્વની નજર જેના પર છે તે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થનાર છે. રાજ્યમાં મુખ્યત્વે ભાજપ – કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ છે. તે ઉપરાંત અન્ય ૬૦ જેટલા પક્ષો અને અપક્ષો મેદાનમાં છે. આવતીકાલનું પરિણામ માત્ર ગુજરાત માટે જ નહિ સમગ્ર દેશના રાજકારણ માટે પણ અગત્યનું બની રહેશે. રાજ્યના જનાદેશથી દેશના રાજકારણની દિશા નક્કી કરવાનો રસ્તો ખુલશે. ગુજરાતના જનાદેશના સૂર્યોદયથી દેશભરમાં રાજકીય કિરણો ફેલાશે. રાજ્યમાં પ્રથમ તબક્કે ૧ ડિસેમ્બરે ૧૬૪૨૮૧૦૬ અને બીજા તબક્કે ૫ ડિસેમ્બરે ૧૬૯૨૬૧૫૨ મતદાતાઓએ મતદાન કરેલ. જનાદેશ મત મશીનોમાં કેદ થઇ ગયો છે તે આવતીકાલે સવારે ખુલશે. કાલનું પરિણામ કેવું હશે તેના પર અટકળો અને શરતોનો દોર ચાલી રહ્યો છે. પરિવર્તન કે પુનરાવર્તન ? તે ચર્ચા મુખ્ય છે. મતગણતરીનો સમય નજીક આવતો જાય તેમ ઉમેદવારોની ઉત્કંઠા વધતી જાય છે. આ ચૂંટણીના પરિણામની ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં અને તે પૂર્વે આવી રહેલ કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોની ચૂંટણીમાં અસર પડશે તેમ રાજકીય વિશ્લેષકોનું કહેવું છે. ગુજરાત એ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી જેવા ધુરંધરનું ગૃહરાજ્ય હોવાથી પરિણામનો વિશેષ રાજકીય મહિમા છે. રાજ્યની ચૂંટણીમાં ભાજપ તરફથી નરેન્દ્રભાઇ મોદી, અમિતભાઇ શાહ, જે.પી. નડ્ડા, યોગી આદિત્યનાથ તેમજ રાજ્યના અને અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ વગેરેએ જોરશોરથી પ્રચાર કર્યો હતો.
કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, અશોક ગહેલોત વગેરે પ્રચારમાં હતા. વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર પ્રથમ વખત મેદાનમાં ઉતરેલ આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલ, મનોજ સીસોદીયા વગેરેએ ગુજરાત ગજાવ્યું હતું. શાસક પક્ષ તરફથી વિકાસનો મુદ્દો ચગાવવામાં આવેલ. વિપક્ષોએ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર વગેરે મુદ્દા ઉછાળ્યા હતા. આપનો મફત શિક્ષણ અને વિજળીનો મુદ્દો પણ ચર્ચામાં રહેલ. મોરબીના ઝુલતા પૂલની દુર્ઘટના જેવા મુદ્દાઓ પણ વારંવાર સામે આવ્યા હતા.
જો ભાજપ જીતે તો ૭મી વખત શાસન મેળવવાનો ઇતિહાસ સર્જાશે. જો કોંગ્રેસને બહુમતી મળે તો પરિવર્તનનો ઇતિહાસ સર્જાશે. આમ આદમી પાર્ટી બે આંકડે અથવા કે સત્તામાં કે સત્તાની નજીક પહોંચે તો રાજકીય ચમત્કાર ગણાશે. તમામ એકઝીટ પોલ સત્તામાં ભાજપના પુનરાવર્તનનો વર્તારો આપે છે. કોને આગાહી કેટલી સાચી તે કાલે બપોર સુધીમાં સ્પષ્ટ થઇ જશે. ગુજરાતના પરિણામના દેશવ્યાપી પડઘા પડશે અને વિશ્વ વ્યાપી નોંધ લેવાશે.