Bhavnagar
જે સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો?; મતદાન પહેલા હાર્દિક પટેલ વિરોધી બેનરે ગરમ કર્યો રાજકીય માહોલ

બરફવાળા
ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાનું મતદાન આવતીકાલે સવારથી શરૂ થશે. ત્યારે મતદાનના એક દિવસ પહેલા જ વિરમગામમાં ભાજપના ઉમેદવાર વિરૂદ્ધ પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ વિરૂદ્ધ તેમના જ મતવિસ્તારમાં પોસ્ટર્સ લાગ્યા છે. જેમાં હાર્દિક પર આક્ષેપ કરતા સુત્રો લખવામાં આવ્યા છે.
પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં હોય કે ભાજપમાં તેઓ અવાર-નવાર વિવાદમાં આવતા જોવા મળે છે. જોકે ભાજપનો ખેસ પહેર્યા બાદ હાર્દિકને વિરમગામથી ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. પાટીદાર અનામત આંદોલનથી રાજકીય સફર શરૂ કરનાર હાર્દિકને આંદોલન સમયના સાથીઓ જ ચૂંટણીમાં તેને પછાડવા માટે કામે લાગી ગયા છે.
અગાઉ પાસના નેતાઓ દ્વારા હાર્દિક વિરૂદ્ધ વિરમગામમાં પ્રચાર કરવાનું પણ એલાન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ હાર્દિકના વિરોધમાં લખાણ લખેલા બેનર સામે આવતા હાર્દિક માટે મતદાન પહેલા વિમાસણ સર્જાઈ છે. વિરમગામમાં મતદાનના ચોવીસ કલાક પહેલા જ હાર્દિક વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે, “જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો..?,
જે લોહીનો ન થાય તે કોઈનો ન થાય, હાર્દિક જાય છે, 14 પાટીદારોનો હત્યારો જનરલ ડાયર કોણ છે.?? હાર્દિક જાહેર કરે.” બેનર્સમાં હાર્દિક વિરૂદ્ધ આ પ્રકારના અલગ-અલગ સુત્રો લખવામાં આવ્યા છે. સાથે જ તેમાં પાટીદાર અનામત આંદોલન સમિતિનું નામ અને લોગો પણ જોવા મળે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે જે આંદોલનથી હાર્દિક હીરો બન્યો અને હવે ચૂંટણી લડવા સુધી પહોંચ્યો તેને આંદોલનના જ સાથીઓ હરાવવામાં સફળ રહેશે કે શું.