Bhavnagar
ચૂંટણીમાં ઠંડીની ઋતુ નહીં નડે પણ નેતાઓને ઠંડો પ્રચાર નડશે

પવાર
ભાવનગર જિલ્લામાં હજુ મિશ્ર ઋતુ, સપ્તાહ સુધી કોલ્ડવેવની નથી શક્યતા : તા.1 સુધીમાં ધૂમ લગ્નો, રવિ પાકની વાવણીનો ધમધમાટ, નેતાઓનાં તદ્દન શુષ્ક-પુનરાવર્તિત ભાષણોથી પ્રચાર નિરસ
આવતીકાલથી પ્રચાર માટે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે છતાં ભાવનગર જિલ્લામાં ગત ચૂંટણીમાં નિરસ માહૌલ આ ચૂંટણીમાં વધુ ઘેરો બન્યો છે. મૌસમ વિભાગ અનુસાર હાલ ગુજરાતમાં 14થી 16 સે.તાપમાને સવારે ફુલગુલાબી ઠંડી અને બપોરે 32-33 સે.તાપમાને થોડી ગરમી એવી મિશ્રઋતુ છે અને ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2-3 સે.નો વધારો એટલે કે હાલની ઠંડીમાં પણ ઘટાડો થવાની આગાહી છે ત્યારે ઠંડી ચૂંટણી પ્રચાર કે મતદાનને નડશે નહીં. પરંતુ, ઠંડો પ્રચાર નેતાઓને નડી રહ્યો છે. જિલ્લામાં પ્રચારની પરાકાષ્ટા માત્ર નેતાઓ માટે છે, નાગરિકોની નિરસતા ઠેરઠેર દેખાય છે.
કેટલાક નેતાઓ તો ભાડુતી ભીડ સાથે લઈને ફરવું પડે, બહારથી શ્રોતા બોલાવવા પડે તેવી સ્થિતિ છે, સ્થાનિકે લોકો જમા થતા નથી. લત્તે લત્તે પ્રચાર માટે લોકોને ભેગા કરવા ભજિયા,પાંઉભાજી,ફાફડાની પાર્ટીઓ શરૂ થઈ ગઈ છે પરંતુ, તેમાં પણ જે તે વિસ્તારના મોટાભાગના લોકો ફરકતાં નથી. પ્રચાર શુષ્ક રહેવા માટે મુખ્યત્વે (1) સૌરાષ્ટ્રમાં તા. 1 સુધીમાં ત્રણ હજારથી વધુ લગ્નો અને તેની તૈયારીમાં લોકોને ફૂરસદ નથી (2) હાલ રવિપાકના વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ગત વર્ષ કરતા ત્રણ ગણુ વાવેતર અત્યાર સુધીમાં થયું છે અને ખેડૂતોને કામમાં નવરાશ નથી. (3) નોકરિયાતો,નાના ધંધાર્થીઓ મોંઘવારીમાં બે છેડાં ભેગાં કરવા સવારથી રાત્રિ સુધી મહેનત કરવી પડે છે અને ચૂંટણીની વાતો સાંભળવામાં સમય આપી શકતા નથી. (4) યુવાનોને ચૂંટણીમાં રસ જાગ્યો નથી. યુવાનો અને ઉચ્ચ શિક્ષીત ઉમેદવારો પણ નહીવત્ છે. (5) ભાષણોમાં દેશના કોઈ પણ નેતા રસ જાગે તેવું વક્તવ્ય આપતા નથી, એકની એક વાતનું પુનરાવર્તન, મત આપવા સીધી કે પરોક્ષ અપીલો, વાહવાહી કે એ જ ટીકા આક્ષેપોમાં લોકોનો રસ ઘટયો છે.