Bhavnagar
ત્રિપાંખીયા જંગમાં ઓછુ મતદાન કોને તારશે, કોને ડુબાડશેનો કોયડો ગુચવાયો

કુવાડિયા
- પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ ચોટે ચોરે એક જ વાત કોણ જીતશે ? વહિવટી તંત્રની મતદાન જાગૃતિ અભિયાન બાદ ઓછા મતદાન માટે લોકોની નારાજગી કે લગ્નગાળો જવાબદાર હોય શકે
ભાવનગર શહેર-જિલ્લાની સાત વિધાનસભા બેઠકની ચૂંટણી અંગે મતદાન થયુ હતું પરંતુ વહિવટી તંત્રના આટ આટલા મતદાન જાગૃતિના પ્રયત્નો બાદ પણ ગત ટર્મ કરતા ઓછુ મતદાન નોંધાયું છે અને સાથે ત્રિપાંખીયો જંગ જામતા કોણ જીતશે તે કહેવું મુશ્કેલ બન્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન ગત ચૂંટણીના મતદાન કરતા ઓછુ નોંધાવા પામ્યું છે જેને લઇ રાજકીય પક્ષો-વિશ્લેષકોની ચર્ચાએ જોર પકડયું છે. ભાવનગર જિલ્લાની સાત બેઠકો પર ઓછુ મતદાન થયા બાદ એક જ ચર્ચા રહી છે. કોણ જીતે છે ? જેનો સ્પષ્ટ જવાબ આપવામાં રાજકીય વિશ્લેષકો પણ આપતા મુંઝાયા છે જેના મુળભૂત કારણમાં ત્રણ મોટા પક્ષો વચ્ચેનો જંગ છે. મતદાનની ટકાવારી અને લોકો વચ્ચેની ચર્ચાએ હાલ ભારે જોર પકડયું છે. ભાવનગરની સાત વિધાનસભા બેઠક ઉપર ૨૦૨૨ના મતદાનની ટકાવારી ૬૦.૮૩ ટકા નોંધાઇ હતી.
ગત ૨૦૧૭ ચૂંટણી કરતા અંદાજે ૧.૩૫ ટકા ઓછુ મતદાન નોંધાયું છે. ત્યારે ૭ બેઠક અને ત્રિપાંખીયા જંગમાં ઓછુ મતદાન સારા વિશ્લેષકોને પણ મુંઝવણમાં મુકી દીધા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ચૂંટણી તંત્રએ વધુ મતદાન કરાવવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું અને થીમ આધારીત બુથ, મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા પણ ઉભી કરી હતી. ચૂંટણી તંત્રની આ સમગ્ર જાગૃતિ અભિયાન પર પ્રજાએ પાણી ફેરવી દીધુ કારણ કે વધારો તો ન થયો પણ ગત વર્ષ કરતા ૧.૩૫ ટકા મતદાન ઓછુ થયુ. અંતિમ આંકડો ૬૦.૮૩ ટકા આવ્યો જ્યારે ગત ૨૦૧૭માં મતદાન ૬૨.૧૮ ટકા રહેલ. સામાન્ય રીતે ૫૨, ૫૪ ટકા જેવા ઓછા મતદાનમાં પણ ભાજપે સરકાર બનાવી છે ત્યારે આ વર્ષના ઓછા મતદાનમાં બે કારણની ચર્ચા છે. ક્યાંક લોકો સત્તામાં બેઠેલી સરકારથી નારાજ છે અથવા લગ્નગાળો જવાબદાર હોઇ શકે. આમ આ ઓછુ મતદાન કોને તારશે કોને ડુબાડશે તે કહેવું મુશ્કેલ છે કારણ કે મતદારોનો મીજાજ હાલના દિવસોમાં જાણી શકાતો નથી.