Sihor
સિહોર ; વરસાદના આગમનની સાથે જ લીલા શાકભાજીના ભાવમાં ભડકો
દેવરાજ
- આવકમાં ઘટાડો અને ડિમાન્ડમાં વધારો થતા ભાવ વધ્યા, રીંગણા, કારેલા, ભીંડો સહિતના શાકભાજીના ભાવ વધ્યા : મધ્યમવર્ગીય ગૃહિણીઓના બજેટ ખોરવાયા
ગોહિલવાડમાં ચોમાસુ જામતાની સાથે જ લીલા શાકભાજીના ભાવમાં ભડકો થતા મધ્યમવર્ગીય ગૃહિણીઓના કિચન બજેટ ખોરવાઈ ગયા છે. વરસાદની સીઝન દરમિયાન શાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો થવાની શકયતા ઓછી હોવાનું વિક્રેતાઓએ જણાવ્યુ હતુ. એકબાજુ પેટ્રોલીયમ પેદાશો,રાંધણગેસ, તેલ, મસાલાઓ સહિતના ભાવમાં વધારો થતા મધ્યમવર્ગીય પરિવારોને ગુજરાન ચલાવવુ દુષ્કર થઈ પડયુ છે. ત્યારે ગોહિલવાડમાં શનિવારથી રાજાધિરાજ મેઘરાજાએ કૃપાદ્રષ્ટિ વરસાવવાનું શરૂ કરતા ચોમાસુ જામતાની સાથે જ લીલા શાકભાજીની આવકમાં એકંદરે ઘટાડો થતા માલની આવક ઘટતા ડિમાન્ડ વધતા શાકભાજી બમણા ભાવે વેચાઈ રહ્યા છે.
ચોમાસાના પ્રારંભથી જ લીલા શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે જેથી મધ્યમવર્ગીય ગૃહિણીઓ અને ઘર ચલાવનારા પુરુષો પણ આ કમ્મરતોડ મોંઘવારીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે અને રોજીંદી આવશ્યક જરૂરીયાત ગણાતી શાકભાજીને લઈને તેઓના ખીસ્સા પર ભારણ વધવા લાગ્યુ છે. આ વધારાથી ગુજરાતી થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ થઈ ગયા છે. વરસાદને લઈને શાકભાજીની આવકમાં અસર થતી હોય ચોમાસાની ઋુતુ દરમિયાન લીલા શાકભાજીના ભાવ નીચે ઉતરવાનું નામ નહિ લે. શહેરની શાકમાર્કેટમાં આજથી એક માસ અગાઉની તુલનામાં હાલ શાકભાજીના ભાવમાં બે ગણો વધારો થયો છે. જેમાં પરવલ, કારેલા,રીંગણા અને શક્કરીયા રૂા ૪૦ ના કિલોના ભાવે વેચાતા હતા જેમાં હાલ અંદાજે રૂા ૩૦ થી ૪૦ નો વધારો થયો છે. તુવેર અને વાલોળના ભાવ એક મહિના અગાઉ રૂા ૧૫૦ હતા જે હાલ રૂા ૧૫૦ થી લઈને ૨૫૦ના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ચોળી, ભીંડો, ગુવાર, ફલાવર બમણા ભાવે વેચાઈ રહ્યા છે.