Sihor
સિહોર ; પરમ દિવસે મંગળવારે અષાઢી બીજના મહાપર્વે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભકિતસાગર ઘુઘવશે

દેવરાજ
જય જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે સિહોર શહેર ગૂંજી ઉઠશે, અભુતપૂર્વ સુરક્ષા કવચ વચ્ચે ભગવાન નગરચર્યાએ નિકળશે
પ્રતિ વર્ષની પરંપરા મુજબ પરમ દિવસે અષાઢી બીજના મહાપર્વે તા.૨૦ જૂનને મંગળવારે સિહોર શહેરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજી નગરચર્યાએ નિકળશે. ભગવાનના રથના ઘરઆંગણે થનારા આગમનને હરખભેર વધાવવા માટે મુખ્ય રાજમાર્ગો પર ચોતરફ માનવમહેરામણ ઉમટી પડશે. અભુતપુર્વ સુરક્ષા કવચ વચ્ચે દબદબાભેર નિકળનારી રથયાત્રામાં ઠેર ઠેર ભકિતનો સાગર ઘુઘવશે ચોતરફ જય જય જગન્નાથનો ગગનભેદી નાદ ગુંજી ઉઠશે અને સિંહપુર એટલે કે સિહોર જગન્નાથમય બની જશે.
જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત રથયાત્રા મંગળવારે સવારે ૮ કલાકે શહેરના ઠાકરદ્વારા મંદિરેથી પરંપરાગત રીતે વાજતે ગાજતે નિકળશેે. આ વેળા આગેવાનો કાર્યકરો રાજકીય લોકો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. પ્રારંભે ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રીઓ દ્વારા શાસ્ત્રોકત વિધિથી કાષ્ટના રથમાં સ્થાપના કરી પૂજન અર્ચન કરશે. નામી અનામી સંતો, મહંતો, મહામંડલેશ્વરજીઓ અને રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતીમાં છેડાપોરા વિધિ તથા પહિન્દ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવાશે. અને ભગવાનના રથને દોરડા વડે ખેંચીને નગરમાં પરિભ્રમણ કરાવાશે. રથયાત્રાનું ઠેરઠેર વેપારીમંડળો, સ્થાનિક રહિશોના મંડળો,સામાજિક સંસ્થાઓ,દાતાઓ દ્વારા ઠંડા પાણી, સરબત તેમજ વિવિધ પ્રસાદથી ભાવિકોનું સ્વાગત કરાશે.