Sihor
સિહોરના સાગવાડી નજીક અધૂરા છોડાયેલ રોડના કારણે જનતા હાલાકીનો સામનો કરતા હોવાથી કામ ને પૂર્ણ કરવા લોક માંગ ઉઠી છે
![near-sagwadi-in-sihore-due-to-the-unfinished-road-public-faces-distress](https://shankhnadnews.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-09-at-8.29.16-PM.jpeg)
પવાર
- ચોમાસુ પણ પુરૂ થયુ અધૂરા છોડાયેલા માર્ગનું કામ ક્યારે શરૂ થશે.? લોકોમાં વૈધિક સવાલ
સિહોર ટાણા ચોકડીથી સુરકાના દરવાજા અને મઢી સુધીના સીસી માર્ગના નવીનીકરણનું કામ પૂર્ણ થતાં લોકોમાં રાહત થઈ છે જ્યારે સાગવાડી ગામની હદમાં રોડનું કામ અધૂરું છોડાતા આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સિહોરથી વાયા ટાણા થઇ વરલ સુધીનો નવો માર્ગ ચોમાસા પહેલાં બનાવવામાં આવેલ.પરંતુ એ સમયે ટાણા અને સાગવાડી ગામનો હાઇ-વે પરનો માર્ગ અધૂરો છોડી દેવામાં આવ્યો હતો.હવે ચોમાસું પૂરું થયું.
સિહોર શહેરનો પણ સીસી માર્ગ પૂર્ણ થયો છે એટલે લોકોને ઇંતેઝારી વધી કે હવે સાગવાડી ગામ નજીક અધૂરા છોડાયેલા માર્ગનું કામ ક્યારે શરૂ થશે ? સિહોર સાગવાડી માર્ગ એ કાજાવદર, જાંબાળા, બોરડી, સર, મઢડા, બુઢણા, સખવદર, કનાડ, ખારી, લવરડા, બેકડી, થાળા, ભાંખલ, વરલ, રામગઢ, થોરાળી, મામસી, દિહોર,ભદ્રાવળથી છેક તળાજા અને મહુવા સુધીના માર્ગને જોડતો માર્ગ છે. આ માર્ગ પરથી દિવસ દરમ્યાન અસંખ્ય વાહનો પસાર થાય છે.ઉપરાંત સાગવાડીથી થોડે દૂર રામપરાવાળા મેલડી માનું મંદિર આવેલું છે. આ મંદિર પણ વાર,તહેવાર અને રવિવારે મોટી સંખ્યામાં ભાવિકો ચાલીને દર્શનાર્થે જાય છે. આ માર્ગ રાજ્ય ધોરી માર્ગ છે. માર્ગ પરથી પસાર થતાં વાહનોચાલકો અને રાહદારીઓની હાલાકી અને મુશ્કેલીને ધ્યાને લઇ સાગવાડી ગામની હદમાં બાકી રહેલા માર્ગનું વહેલામાં વહેલી તકે મરામત કરવામાં આવે તે હાલના તબક્કે અત્યંત જરૂરી બની ગયું છે.