Bhavnagar
ભાવનગરમાં પશુઓની નોંધણી નહિ કરાવનાર સામે મહાપાલિકા કરશે કાર્યવાહી
પવાર
રજકો વિગેરે ખવરાવતા લોકો સામે પણ કાર્યવાહીની ચેતવણી, રખડતા પશુઓ સંદર્ભે નિયંત્રણ લાદતું જાહેરનામું પ્રસિદ્ધ
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ જાહેર રસ્તાઓ ઉપર માલિકીના તથા બિનવારસી રખડતા પશુઓની સંખ્યા વધી રહી છે. આ રખડતા પશુઓને કારણે જાહેર રસ્તાઓ ઉપર ગંદકી ફેલાય છે જેના કારણે જાહેર આરોગ્ય જોખમાય છે અને ટ્રાફિક વ્યવસ્થાને અડચણ ઉભી થાય છે તેમજ ગંભીર પ્રકારના અકસ્માતો થવાના કારણે જાહેર જનતાને ગંભીર ઇજાઓ તથા જાનનું જોખમ ઉભું થાય છે. આથી ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વસવાટ કરતા પશુપાલનનો ધંધો કરતા પશુપાલકો તથા માલધારીઓને જાણ કરવાની કે ધી.જી.પી.એમ.સી. એકટની અનુસુચિ – ક, પ્રકરણ -૧૪ ના નિયમ -૨૨,૨૩,૨૪ અને કલમ -૩૭૬ ની જોગવાઇઓ મુજબ ચો-પગા પ્રાણીઓની નોંધણી/રજીસ્ટ્રેશન કરાવવું અને તે સંબંધેના પરવાના લેવા ફરજીયાત હોય જાહેરનામું પ્રસિધ્ધ થયાથી એક માસમાં પોતાના પશુઓની નોંધણી કરાવી પરવાનો લેવા માટે તા- ૩૦/૧૦/૨૦૨૧ થી જાહેરનામું બહાર પાડવામાં આવેલ.
પરંતુ તે અન્વયે ચો-પગા પશુઓના માલિકો દ્વારા તેમના પશુઓના રજીસ્ટ્રેશન કરાવવાની અને સંખ્યા બાબતે મંજુરી લેવાની કોઇ દરકાર કરેલ નથી. આ પ્રકારના તત્વો દ્વારા પશુઓનું યોગ્ય રીતે સંવર્ધન કે ઉછેર કરવાને બદલે છુટા મૂકી શહેરીજનોને નિવારી ન શકાય તેવુ આરોગ્ય અને સલામતિ જોખમાય તેવું નુકશાન કરવામાં આવી રહેલ છે. હાલમાં ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તા, ફુટપાથ અને ધાર્મિક સ્થળો આસપાસ ઘાસચારો વેચવાની કામગીરીમાં વધારો થયો છે જે સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં પણ અવરોધરૂપ જણાય છે અને જાહેર જગ્યા પર ગંદકી તથા દબાણ પણ સર્જાય છે. જેથી ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોના આરોગ્ય તેમજ સલામતી ખાતર મ્યુનિસિપલ કમિશનર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા “ ધી.જી.પી.એમ.સી. એકટ -૧૯૪૯ ” અન્વયે મળેલ સતા અને અધિકારોની રૂએ ઉપરોકત કાયદાની કલમ -૪૫૩ અન્વયેના નિયમોની અનુસુચિ – ક, પ્રકરણ -૧૪ ના નિયમ- ૨૨ થી ૨૪, કલમ -૩૭૬ અન્વયેની જોગવાઇઓ મુજબ ફરમાન કરવામાં આવેલ છે. જેમાં જણાવ્યા મુજબ
(૧) ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાયસન્સ/પરવાના મેળવ્યા સિવાય ચો-પગા પશુઓ રાખવા તેમજ જાહેર રસ્તા / ફૂટપાથ જાહેર સ્થળો ઉપર છુટા મુકવા પ્રતિબંધ ફરમાવેલ છે.
(૨) ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર માર્ગ, ફુટપાથ તથા જાહેર સ્થળો પર કોઇપણ વ્યકિત દ્વારા ઘાસચારાનુ વેચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો/ગંદો પદાર્થ ખવડાવવો અથવા ખવડાવવા દેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ હુકમનો ભંગ, ઉલ્લંઘન કરનાર ઇસમો ધી જી.પી.એમ.સી. એકટ -૧૯૪૯ તથા ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ તથા ભારતીય ફોજદારી અધિનિયમ -૧૮૬૦ અન્વયે રાજય સેવકે રીતસર જાહેર કરેલ હુકમનુ પાલન ન કરવા બાબત તેમજ ત્રાસદાયક કૃત્ય કરવા માટેની ફરિયાદ અન્વયે શિક્ષા મુજબ શિક્ષાપાત્ર થશે. આ હુકમ ભાવનગર મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં લાગુ પડશે