Bhavnagar
રવિવારે ભાવનગરની ધરતી પર ઐતિહાસિક 552 દીકરીઓના સમૂહલગ્ન : વડાપ્રધાન રહેશે ઉપસ્થિત

મિલન કુવાડિયા
552 દીકરીઓના સમુહલગ્ન યોજાશે, ભાવનગરમાં આયોજીત સમુહ લગ્નોત્સવમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રીએ કહ્યું દીકરીઓને આશીર્વાદ આપવા નહીં પરંતું દીકરીઓના આશીર્વાદ લેવા હું આવીશ
ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે માતા-પિતાની છત્ર છાયા ગુમાવી ચૂકેલી 552 દીકરીઓના જાજરમાન સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 6 તારીખે આ લગ્નોત્સવ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ લગ્ન સમારોહમાં દીકરીઓને આશીર્વાદ આપવા પધારશે. આ લગ્નોત્સવમાં અંદાજે ચાર લાખ જેટલા મહેમાનો ઉપસ્થિત રહેશે. સમગ્ર તૈયારીઓ અંગે દિનેશ લખાણીએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. પ્રભુતામાં પગલાં પાડી રહેલી 552 દીકરીઓના આ લગ્નોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. નરેન્દ્ર મોદીને જ્યારે દિનેશભાઈ લખાણી, સુરેશભાઈ લખાણી સહિતના આમંત્રણ આપવામાં માટે ગયા ત્યારે નરેન્દ્ર મોદીએ આમંત્રણનો સહજ ભાવે સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, દીકરીઓને આશીર્વાદ આપવા નહીં પરંતું લગ્નગ્રંથીથી જોડાઈ રહેલી 552 દીકરીઓના આશીર્વાદ લેવા માટે હું આવીશ.
મારૂતિ ઈમ્પેક્ષ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી સર્વજ્ઞાતિની 552 દીકરીઓનો સમુહ લગ્નોત્સવનું આયોજન પિતાતુલ્ય ભાવ સાથે દિનેશભાઈ લખાણી અને સુરેશભાઈ લખાણી દ્વારા ધામધૂમથી કરવામાં આવ્યું છે. એ માટે છેલ્લા છ મહિનાથી આયોજન કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં દીકરીઓને અંદાજે રૂપિયા બે લાખ ઉપરાંતનો કરીયાવર જેમાં પલંગ, કબાટ, ઘરવખરી સહિત 103 વસ્તુઓ આપવામાં આવશે. જોકે, બે દિવસ પહેલા તમામ 552 દીકરીઓના પરિવારજનો અને વરપક્ષના પરિવારજનોને સુપ્રત કરવામાં આવી હતી.
વડાપ્રધાન સહિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, રાજ્ય શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર કિર્તિબેન દાણીધરીયા અને મંત્રી મંડળના કેબીનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ તેમજ બગદાણા મનજીબાપા સહિત સંતો-મહંતો અને હીરા ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.